સિહોરના કનિવાવ નજીકની વાડીમાં કુહાડીના ઘા ઝીંકી દંપતિની ક્રૂર હત્યા
- ભાવનગર શહેર-જિલ્લામાં 36 કલાકમાં હત્યાના 3 બનાવો
- પતિ-પત્નીના ઝઘડામાં વચ્ચે પડેલાં પાડોશી સાથે પતિએ તકરાર શરૂ કરતાં શખ્સે ગળા પર કુહાડી મારી દંપતિનું ઢીમ ઢાળી દીધું, બેવડી હત્યાનો આરોપી ઝબ્બે
ભાવનગર શહેર અને જિલ્લામાં ચકચાર મચાવતાં બનાવની વિગત એવી છે કે, ત્રણેક માસ પૂર્વે નવસારીના વતની રામુભાઈ નટુભાઈ હળપતિ અને તેના પત્ની લક્ષ્મીબેન નેસડા ગામથી કનિવાવ ગામ નજીક આવેલી વિજયભાઈ ખમળની વાડીમાં મજૂરી કામ અર્થે આવ્યા હતા.અહીં વાડીમાં શ્રમિકોને રહેવા માટે બનાવાયેલી આઠ પૈકી સાત નંબરની ઓરડીમાં દંપતિ રહેતું હતું. જ્યારે તેની બાજુની આઠ નંબરની ઓરડીમાં અમિત નાયકા અને તેનો ભત્રીજો ચેતન રહેતો હતો. દરમિયાનમાં ગત ગુરૂવાર રાત્રિના ૯ઃ ૩૦ કલાકના અરસામાં રામુભાઈ અને તેના પત્ની લક્ષ્મીબેન વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં પાડોશી અમિત નાયકાએ વચ્ચે પડી ઝઘડો કરવાની ના પાડતા રામુભાઈએ 'તારે અમારી પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં કઈ બોલવાનું નહીં, તુ વચ્ચે આવીશ તો તને પણ મારીશ' તેમ કહી અમિત સાથે ઝઘડો શરૂ કર્યો હતો. જેથી અમિતે ઉશ્કેરાઇ બાજુમાં પડેલી કુહાડી વડે રામુભાઈના ગળાના ભાગે એક ઘા મારતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જયારે, ઘટનાને નજરે નિહાળનાર મૃતક રામુભાઈના પત્ની લક્ષ્મીબેન વચ્ચે પડતા અમિતે તેમના ગળા પર પણ કુહાડીના ઘા મારી દેતા મારી દેતા દંપતિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ તરફ, વાડીમાં બેવડી હત્યાના લઈ સ્થાનિકો શ્રમિકોમાં ભારે ગભરાટ ફલાયો હતો. બનાવની જાણ થતાં જ ભાવનગર જિલ્લા પોલીસ વડા સહિતનો મસમોટો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને બેવડી હત્યાના આરોપી અમિત નાયકા(રહે. નવસારી)ને ઝડપી પાડયો હતો. બનાવને લઈ સિહોર પોલીસે વહેલી સવારે વાડી માલિક વિજયભાઈની ફરિયાદના આધારે બેવડી હત્યાના આરોપી વિરૂદ્ધ હત્યા સહિતની કલમ અન્વયે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.