Get The App

બહેન સાથે ઝઘડો કરનાર બનેવીના બંને પગ કાપી મોતને ઘાટ ઉતાર્યા

Updated: Nov 12th, 2025

GS TEAM

Google News
Google News
બહેન સાથે ઝઘડો કરનાર બનેવીના બંને પગ કાપી મોતને ઘાટ ઉતાર્યા 1 - image

વડિયાના નાના એવા અરજણસુખ ગામની ઘટના : બનેવીને તાલીબાન જેવી ક્રૂર સજા આપનાર 5 સાળા સહિત 8 આરોપીઓ સામે ગુનો નોંધાયો

અમરેલી, : પોતાની બહેન સાથે ઝઘડો કરતાં બનેવીને સાળાઓએ તાલીબાન જેવી ક્રૂર સજા આપી, કુહાડીથી તેના બંને પગ કાપી નાખ્યા હતા. એટલું જ નહીં માથાંમાં પાઈપના આડેધડ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા. વડિયાના અરજણસુખ ગામે બનેલી આ ખોફનાક ઘટના અંગે પોલીસે પાંચ સાળાઓ અને ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

ગોંડલમાં રહેતાં દિનેશભાઈ વનાભાઈ સોલંકી (ઉ.વ. 60)ને તેની પત્ની રતન અને બાળકો સાથે માથાકૂટ ચાલતી હતી. જેને કારણે તે ઘર છોડી છેલ્લા એકાદ મહિનાથી રખડતા-ભટકતા હતા. ગઈકાલે તેના સાળાઓએ સમાધાન માટે બોલાવ્યા હતા. જેથી તે ગઈકાલે જ અરજણસુખ ગામે રહેતાં સંબંધી મનિષા રાઠોડના ઘરે પહોંચ્યા હતા. તેને કહ્યું કે મારા સાળાઓ સાથે સાંજે સમાધાન માટે બેઠક કરવાની છે. આ પછી ત્યાંથી જતા રહ્યા હતા. સાંજે મનિષાના ઘરે તેના બે સાળા કાનજી જેરામ સાવલિયા અને હકુ પહોંચ્યા હતા. 

 જેથી આ બંને માટે મનિષાનો પતિ ગામમાં પાન-માવા લેવા ગયો હતો. પાછળથી ત્યાં દિનેશભાઈ પણ આવી પહોંચ્યા હતા. ત્રણેય સાળો-બનેવી સમાધાન બાબતે રૂમમાં વાતચીત કરતા હતા ત્યારે ઉગ્રતા ફેલાઈ હતી. જેને કારણે હકુએ તેના અન્ય ભાઈઓ અને બીજા આરોપીઓને બોલાવી લીધા હતા. થોડીવારમાં જ બીજા આરોપીઓ પાઈપ અને લોખંડના હાથાવાળી કુહાડી સાથે ત્યાં ઘસી આવ્યા હતા. 

આવીને બધા આરોપીઓ  આજે તો દિનેશને જાનથી મારી નાખવો છે તેવા હાકલા-પડકારા કરી, તેની ઉપર પાઈપથી તૂટી પડયા હતા. એટલું જ નહીં અમુક આરોપીઓએ કુહાડી વતી ક્રૂરતાપૂર્વક તેના બંને પગમાં ઘા ઝીકવાનું શરૂ કરી બંને પગ જ કાપી નાખ્યા હતા. 

ત્યાર પછી તમામ આરોપીઓ પોતાના વાહનમાં ભાગી ગયા હતા. હુમલા દરમિયાન મનિષા, દિનેશભાઈની બૂમાબૂમ સાંભળી રૂમમાં દોડી ગઈ હતી. પરંતુ આરોપીઓએ તેને પણ ઘરની બહાર કાઢી મુકી હતી. આરોપીઓ ભાગી ગયા બાદ તે પતિ સાથે રૂમમાં પહોંચી હતી. અને જોયું તો દિનેશભાઈ લોહી નિંગળતી હાલતમાં પડયા હતા. તેના બંને પગ ઘુંટીના ભાગેથી કપાયેલા પડયા હતા. 108માં તેને અમરેલી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવીલમાં ખસેડયા  હતા. જયાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં બનાવ હત્યામાં પલ્ટાયો હતો વડિયા પોલીસે મનિષાની ફરિયાદ પરથી મૃતક દિનેશભાઈના પાંચ સાળા કાનજી, હકુ, નાનો, બાઘો અને જાદવ ઉપરાંત ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.