વડોદરામાં વાઘોડિયા રોડ પર સનરાઈઝ ટાવરમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ, બે ઝડપાયા, સંચાલિકા સહિત બે ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલા વૈકુંઠ ચાર રસ્તા પાસેના સનરાઈઝ ટાવરમાં ચાલતા કુટણખાનાનો એ.એચ.ટી.યુ. (એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ)એ કપુરાઈ પોલીસની મદદથી પર્દાફાશ કર્યો છે. પોલીસ દ્વારા ડમી ગ્રાહક મોકલી દરોડા પાડવામાં આવતા એક લલના સહિત ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે કુટણખાનાની સંચાલિકા મકાનમાં બનાવેલા ભોયરાના રસ્તે સગીર કન્યાઓને લઈને ફરાર થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે.
એ.એચ.ટી.યુ.ને મળેલી ચોક્કસ માહિતી મુજબ, સનરાઈઝ ટાવરમાં રહેતી ચંદ્રિકા ઉર્ફે રીટા બાબુ શાહ પોતાના મકાનમાં યુવતીઓને રાખી યુવતી દીઠ રૂ.1,000થી 1,500ના ભાવે દેહ વ્યાપારનો ધંધો ચલાવતી હતી. અગાઉ પણ ચંદ્રિકા સગીરાને રાખી દેહવ્યાપાર કરાવતી પકડાઈ ચૂકી હોવાનું જાણવા મળ્યું છે. હાલ પણ તે સગીર કન્યાઓને ટાવરના અલગ-અલગ ફ્લેટમાં રાખી દેહવ્યાપાર ચલાવતી હતી. ગ્રાહક યુવતીના રૂમમાં જાય ત્યારબાદ બહારથી તાળું મારી દેવામાં આવતું હતું.
આ માહિતીના આધારે કપુરાઈ પોલીસ સાથે વોચ ગોઠવી ડમી ગ્રાહક મોકલવામાં આવ્યો હતો. ડમી ગ્રાહકને યુવતીના રૂમમાં મોકલી બહારથી તાળું મારવામાં આવતાં પોલીસે તાત્કાલિક તાળું તોડી રૂમમાં પ્રવેશ કર્યો હતો. ત્યાં સરોજ લક્ષ્મીપદા માલ (રહે–સનરાઈઝ કોમ્પ્લેક્સ, મૂળ રહે–પશ્ચિમ બંગાળ) અને જીગર રાજુ માછી (રહે–કિશનવાડી, મૂળ–નાંદોદ) મળી આવ્યા હતા. બાજુના રૂમમાંથી અમદાવાદમાં રહેતી અને મૂળ પશ્ચિમ બંગાળની એક અન્ય યુવતી ડમી ગ્રાહક સાથે અર્ધનગ્ન હાલતમાં મળી આવી હતી.
યુવતીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, તેના સોદા પેટે સરોજ માલે રૂ.1,500 લીધા છે અને તેને ગ્રાહક દીઠ રૂ.500થી 700 આપવામાં આવે છે. ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી ચંદ્રિકાબેનના કહેવાથી અહીં દેહવ્યાપારમાં આવી હોવાનું પણ તેણે જણાવ્યું હતું. અન્ય એક રૂમમાંથી 11 યુવતીઓ બેઠેલી મળી આવી હતી.
પોલીસ તપાસ દરમિયાન આરોપી સરોજ માલે કબૂલાત કરી હતી કે, રાહુલ નામની વ્યક્તિની ઓળખાણથી વિલાસબેન અને સ્મિતકુમાર દરજીના નામે રીટાબેન માટે મકાનના કાગળો કરાવી ધંધો ચલાવવામાં આવે છે અને ધંધાની કમાણી તેઓને પહોંચાડવામાં આવે છે. તેના બદલામાં તેને ગ્રાહક દીઠ રૂ.100થી 200 મળતા હતા. જ્યારે આરોપી જીગર માછીએ કબૂલાત કરી હતી કે, ચંદ્રિકા અથવા સ્મિતકુમારના કહેવાથી ગ્રાહકોને કુટણખાના સુધી પહોંચાડવા, ચા-પાણી આપવું તેમજ શંકાસ્પદ વ્યક્તિઓ પર નજર રાખવાનું કામ કરતો હતો.
પોલીસે વધુ તપાસમાં બીજા માળે આવેલા મકાન નં.204 અને 205 ચંદ્રિકાના હોવાનું બહાર આવ્યું હતું. મકાન નં.204નું તાળું તોડી તપાસ કરતા ભોયરું મળી આવ્યું હતું, જેમાંથી પહેલા માળની દુકાનમાં બહાર નીકળવાની ગુપ્ત વ્યવસ્થા હતી. આ રસ્તેથી ચંદ્રિકા અને અન્ય યુવતીઓ ફરાર થઈ ગઈ હોવાનું પોલીસનું માનવું છે.
પોલીસે સ્થળ પરથી સોદા પેટે સ્વીકારેલ રૂ.200, દેહવ્યાપારની આવકના રૂ.4,100, બે મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. સરોજ લક્ષ્મીપદા માલ અને જીગર રાજુ માછીની હ્યુમન ટ્રાફિકિંગ એક્ટ તથા બીએનએસ કલમ 54 સહિતની કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ચંદ્રિકાબેન ઉર્ફે રીટા બાબુ શાહ અને સ્મિતકુમાર સતીશકુમાર દરજીને ફરાર જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.








