પ્લેન ક્રેશનો ભોગ બનેલા બ્રિટીશ યુવાને જૂનાગઢમાં ટેટુ કરાવ્યું હતું,
જૂનાગઢની યાદો સાથે ઘરે પહોચે એ પૂર્વે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં કાળ આંબી ગયો : બંને યુવાનોએ દિવાન ચોકમાં ફોટા પાડયા હતા : ચાપરડા ખાતે રોકાયા હતા, ગીરમાં સિંહ દર્શન કર્યા હતા
જૂનાગઢ, : અમદાવાદના થયેલી પ્લેન દુર્ઘટનામાં બ્રિટનના નાગરિકો પણ ભોગ બન્યા છે, જેમાંથી બે યુવાનો હજુ હમણાં જ જૂનાગઢ આવ્યા હતા. ગિરનાર, ચાપરડા, ગીર સહિતની બંને વિદેશી યુવાનોની જૂનાગઢની મુલાકાત અંતિમ બની ગઈ હતી.
ગ્રીન લો અને જેમી નામના બ્રિટનના બે યુવાન એકાદ સપ્તાહ પૂર્વે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. જૂનાગઢ આવી ગિરનાર ગયા હતા, ત્યાંથી ચાપરડા રોકાયા હતા. ગીરમાં સિંહ દર્શન કરી જૂનાગઢ આવ્યા હતા. તેઓએ જૂનાગઢના આઝાદ ચોક અને દિવાન ચોક વિસ્તારમાં હેરિટેજ ઇમારતોના ફોટા પણ પાડયા હતા. જૂનાગઢથી પ્રભાવિત થઈ ગ્રીન લો નામના યુવાને મધુરમ વિસ્તારમાં આવેલા સ્ટુડિયોમાં ટેટુ કરાવ્યું હતું. આ યુવાન જ્યાં જ્યાં ફરવા જતો ત્યાંની વિવિધતાનાં ટેટુ કરાવતો હતો, જે મુજબ તેણે ત્રાજવાનું ટેટુ કરાવ્યું હતું. જૂનાગઢમાં આવેલા મોલમાંથી તેણે ખરીદી કરી હતી.
જૂનાગઢની મુલાકાત અને સિંહ જોઈ આ બંને યુવાનો ઉત્સાહમાં હતા. ગઈકાલે બપોરે અમદાવાદમાં જે ફલાઇટ ક્રેશ થઈ તેમાં આ બંને યુવાનો પણ હતા. યુવાનો જૂનાગઢ તેમજ સિંહની યાદો સાથે પોતાનાં ઘરે પહોંચે એ પૂર્વે જ કાળનો ભોગ બની જતા ગમગીની વ્યાપી ગઈ હતી.