વડોદરા કોર્પોરેશનની ચૂંટણી પૂર્વે નવા "વિઝન વડોદરા"ને લીધે વિકાસ કામો પર બ્રેક..!
Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનની ચૂંટણી આગામી નવેમ્બરમાં આવનાર છે તેને ધ્યાનમાં રાખી છેલ્લા પૂરની પરિસ્થિતિ થયા બાદ એક વર્ષથી કોર્પોરેશન દ્વારા વિકાસના કામો સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવતા હતા. પરંતુ તાજેતરમાં છેલ્લી બે સ્થાયી સમિતિની બેઠકમાં એક પણ વિકાસનું કામ રજૂ થયું નથી જેથી નવા કમિશનર અરુણ બાબુની નિયુક્તિ થતાં તેઓએ વિઝન વડોદરા-2030 જાહેર કરવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે હવે તેઓના વિઝન પ્રમાણે નવા વિકાસના કામો તૈયાર થશે. જેથી સ્થાયી સમિતિમાં આવતા વિકાસના કામો પર બ્રેક વાગી ગઈ છે તો બીજીબાજુ વધુ ભાવના ટેન્ડરોને કારણે કોર્પોરેશનની આર્થિક પરિસ્થિતિ ડામાડોળ થઇ ગઇ છે. તાજેતરમાં રાજ્ય સરકારે અચાનક મ્યુનિ.કમિશનર દિલીપ રાણાની બદલી કરવામાં આવતા તેમના સ્થાને મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ વિઝન વડોદરા 2030 નો નવો કન્સેપ્ટ રજૂ કર્યો છે. જેથી ગત બે અઠવાડિયાની સ્થાયી સમિતિમાં કામો રજૂ થતાં અટકી પડ્યા છે. જ્યારે ચૂંટણી વર્ષ હોવાથી ગત ફેબ્રુઆરીથી એપ્રિલ સુધીમાં રૂા.1244 કરોડના કામોની દરખાસ્ત આવી હતી. જ્યારે એક વર્ષમાં થયેલા વિકાસના કામોનું માર્ચના અંતે રૂા.1500 કરોડનું ચૂકવણું કરવામાં આવ્યું હતું.
મ્યુનિ.કમિશનર કહે છે, મારે 76 બેઠક ભાજપને જીતાડવાની છે...! ગૃહ રાજ્યમંત્રીએ સૂચના આપી કે ટેન્ડર પ્રક્રિયામાં ફેરફાર કરવા કોઈએ ફોન નહીં કરવો
મ્યુનિ. કમિશનર અરૂણ બાબુએ હોદ્દો અખત્યાર કર્યો ત્યાર બાદ પાંચ પદાધિકારીની બેઠક યોજાઇ હતી. જેમાં તેઓએ વિઝન વડોદરાનો કન્સેપ્ટ રજૂ કર્યો. તેની સાથે સાથે તેઓએ સ્પષ્ટ જણાવી દીધુ કે, કોર્પોરેશનની સભામાં જો કોઈ કોર્પોરેટર ખોટી રીતે મારી સામે બોલશે તો હું સભા છોડી ચાલ્યો જઈશ. સભા સંચાલનનું કામ નેતા અને દંડકનું છે. હું એક વર્ષ માટે આવ્યો છું. મારે 76 બેઠક ભાજપને જીતાડવાની છે. કોઈની દખલગીરી ચ ાલશે નહીં. એજ રીતે તાજેતરમાં ગૃહ રાજ્યમંત્રી વડોદરાની મુલાકાતે આવ્યા હતા ત્યારે પાંચ પદાધિકારી અને ધારાસભ્યો, સંસદસભ્યને સૂચના આપી હતી કે, કોર્પોરેશનની ટેન્ડર પ્રક્રિયામાં શરતોમાં ફેરફાર કરવા કોઈએ કમિશનરને ફોન કરવાનો નથી. જે કોઈ કામ હોય તો કોર્પોરેશનના પાંચ પદાધિકારી એક થઈ નક્કી કરે તે કામ કમિશનરને કહેવાનું રહેશે. તેમણે સંસદસભ્ય ગેરહાજર હોવાની નોંધ લઈ તેઓને પણ આ સૂચનાની જાણ કરી દેજો તેમ તેમણે ઉમેર્યું હતું. મ્યુનિ. કમિશનર અને ગૃહ રાજ્યમંત્રીની આ પ્રકારની સ્પષ્ટ સૂચનાથી ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.