સનાતન ધર્મનો વિરોધ કરનાર 'આપ'ના ઉમેદવારનો બહિષ્કાર કરો
વિસાવદરની ચૂંટણી વેળા ભૂતનાથના મહંતે ઝંપલાવ્યું : સાધુ-સંતો, કથાકારો, કલાકારો, ભૂદેવોને અપીલ કરી વિરોધ કરવા આહવાન કર્યું
જૂનાગઢ, : વિસાવદર વિધાનસભાની ચૂંટણી વખતે ભૂતનાથના મહંતે પણ ઝંપલાવ્યું છે. તેણે 'આપ'ના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાનો ઉધડો લીધો હતો. અગાઉ સનાતન ધર્મની વિરૂધ્ધ કરેલા બફાટ મુદ્દે ઈટાલિયાનો બહિષ્કાર કરવા સાધુ- સંતો, ભૂદેવો અને વિસાવદરના મતદારોને અપીલ કરી છે.
ભાજપ અને આપ વચ્ચે વિસાવદરની બેઠક પર ખરાખરીનો જંગ જામ્યો છે તેવા સમયે દત્તાત્રેય સંસ્થાન તથા ભૂતનાથના મહંત મહેશગીરીએ ગોપાલ ઈટાલીયાને ચૂંટણી સમયે આડેહાથ લીધા છે. ઈટાલીયાએ વર્ષો પહેલા કથાકારો, સાધુ-સંતોનો વિરોધ કરતો વીડિયો જાહેર થયો હતો. આ વીડિયો મુદ્દે મહેશગીરીએ ગોપાલ ઈટાલીયા સામે રોષ વ્યક્ત કરી આક્ષેપ કર્યો હતો કે, 'સનાતન ધર્મનો વિરોધ કરનાર વ્યક્તિને ગિરનારની છત્ર છાયામાં પ્રવેશ દેતા નહી, તેમના ગુરૂ કેજરીવાલ મંદિરે જાય છે તો તેનો શા માટે વિરોધ નથી કરતા, હવે પોતે પણ ગામડાઓના રામ મંદિરે જઈ સભા કરે છે, આવા વ્યક્તિના છાજીયા લઈ તેને ગામમાંથી બહાર કાઢવો જોઈએે.' સાધુ-સંતો, કથાકારો, કલાકારો, ભૂદેવોને અપીલ કરી હતી કે, 'તમે રસ્તા પર આવી ગોપાલ ઈટાલીયાનો વિરોધ કરો કેમ કે તેણે સનાતન ધર્મનો વિરોધ કર્યો હતો.' આમ, ચૂંટણી સમયે મહેશગીરીના ગોપાલ ઈટાલીયા પરના પ્રહારો ચર્ચાનો મુદ્દો બન્યા છે.