બોટાદમાં મોટી દુર્ઘટના: લાઠીદડ ગામે 9 લોકો સવાર ઈકો કાર પાણીમાં તણાતા 7 લોકોના મોત, 2નો બચાવ
Heavy Rain in Botad: ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી અવિરત વરસાદ ખાબકી રહ્યો છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે બોટાદ જિલ્લામાં જાણે કે આભ ફાટયું હોય તેમ સોમવાર અને મંગળવારે 6થી 19 ઈંચ વરસાદ ખાબકી ગયો હતો. જિલ્લામાં સાર્વત્રિક પડેલા ભારેથી અતિ ભારે વરસાદના કારણે લાઠીદડ ગામે સોમવારે રાત્રિના સમયે આઠથી નવ વ્યક્તિ સવાર એક ઈકો કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જેમાં સરકારી તંત્રએ રેસ્ક્યુ કામગીરી હાથધરીને બે વ્યક્તિને બચાવી લીધા હતા. અન્ય ગુમ થયેલા લોકોની મોડી રાત સુધી શોધખોળ હાથ ધરાઈ હતી. ભારે શોધખોળ બાદ આખરે બુધવારે વધુ સાત લોકોના મૃતદેહ મળી આવતા પરિવારમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.
દરમિયાનમાં ગત સોમવારે મોડી સાંજના સમયે લાઠીદડથી સાંગાવદર જવાના રસ્તા પરથી વરસાદી પાણી ભયજનક રીતે વહેતું હોવા છતાં ઈકો કારના ચાલકે પાણીમાંથી કાર પસાર કરવાનો પ્રયાસ કરતા નવ વ્યક્તિ સાથેની ઈકો કાર પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગઈ હતી. જે ચિંતાજનક બનાવની જાણ થતાં જ બોટાદની ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ, સ્થાનિક તરવૈયાઓ, ગ્રામજનોએ પાણીમાં તણાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. કલાકનો જહેમત બાદ ગત મંગળવારે એક્સટેન્ડેડ લેડરનો ઉપયોગ કરીને પ્રિયાંકભાઈ મહેશભાઈ ચૌહાણ (રહે, લાઠીદડ) અને યશવંતભાઈ વાવેતા (રહે, વીછિંયા)નામના બે વ્યક્તિને બચાવી લેવામાં સફળતા મળી હતી. ઈકો કારને પણ શોધી કાઢી હતી. જ્યારે અન્ય લોકોનો કોઈ પતો ન મળતા અને રાતનું અંધારૂં હોવાથી રેસ્ક્યુ કામગીરીને અટકાવી દેવામાં આવી હતી. આજે ફરી બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. સવારથી બપોરે એક વાગ્યા સુધી ચાલેલી રેસ્ક્યુ કામગીરી દરમિયાન કારિયાણી ગામના તળાવ પાસેના અલગ-અલગ સ્થળોએથી લાપતા થયેલા છ મહિલા અને એક પુરૂષના મૃતદેહ મળ્યાં હતા. આ કરૂણાંતિકાને લઈ પરિવારજનોમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજુ ફરી વળ્યું હતું.
આ પણ વાંચો: ચોમાસાના પ્રથમ વરસાદે જ 11 ડેમ હાઈએલર્ટ પર, નર્મદા ડેમ 51% ભરાયો, જાણો અન્યની સ્થિતિ
ભાવનગરના મગલાણા ગામે પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા PI ખુદ દોરડું બાંધીને પાણીમાં કૂદી પડ્યા
મગલાણા ગામમાં સોલાર પ્લાન્ટમાં પાણી ભરાઈ જતા પાણીના ધસમસતા પ્રવાહમાં પાંચ લોકો ફસાઇ ગયા હતા. મગલાણી નદીમાં પૂરનો પ્રવાહ આવી જતા આ લોકો ફસાઈ ગયા હતાં, જેને બચાવવા માટે તરવૈયાઓ ગયા હતા. જોકે, આ દરમિયાન ઓચિંતો પ્રવાહ વધી જતા તરવૈયાઓ બાવળની ઝાડીમાં ફસાઈ ગયા હતા. જોકે, આ વિશે જાણ થતાં PI બી.ડી જાડેજા દોરડું લઈને તરવૈયાઓને બચાવવા પહોંચ્યા હતા. આ પોલીસ અધિકારીએ પોતાની સૂઝબૂઝના આધારે ત્રણેય તરવૈયાઓને બહાર કાઢ્યા હતા.
હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ
હવામાન વિભાગની હવામાનની આગાહી મુજબ, બુધવારે (18 જૂન) વરસાદની આગાહી કરી છે. જેમાં ગુજરાતના 10 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય, 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 6 જિલ્લામાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.
રેડ એલર્ટઃ અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર, આણંદ, ભરૂચ, સુરત, જૂનાગઢ, પોરબંદર.
ઓરેન્જ એલર્ટઃ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, વડોદરા, તાપી, સુરત, વલસાડ, દાદરા અને નગર હવેલી, દમણ, જામનગર, રાજકોટ, દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ, અમરેલી.
યેલો એલર્ટઃ મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ.