ભીમનાથ મંદિરમાં સેવા પૂજા કરતી મહિલાની લાશ મળી
સયાજીગંજ ભીમનાથ મહાદેવ મંદિરના કંપાઉન્ડમાં એકલી રહેતી મહિલાનો મૃતદેહ તેમના જ ઘરમાંથી મળી આવ્યો હતો. સયાજીગંજ પોલીસે મૃતદેહ પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ભીમનાથ મહાદેવ મંદિરના કંપાઉન્ડમાં રહેતા ૫૫ વર્ષના દિપાબેન પૂર્ણાનંદભાઇ ભટ્ટ મંદિરમાં સેવા પૂજા કરતા હતા. આજે સવારે તેમના ઘરમાંથી તીવ્ર દુર્ગંધ આવતી હોઇ નજીકમાં રહેતા લોકોએ પોલીસને જાણ કરતા સયાજીગંજ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એમ.બી.ભરવાડ સ્થળ પર પહોંચી ગયા હતા. મહિલાનો મૃતદેહ કહોવાઇ ગયો હતો. અંદાજે ચાર દિવસ પહેલા તેઓનું મોત થયું હોવાની આશંકા સેવાઇ રહી છે. પ્રાથમિક તપાસ દરમિયાન મહિલાનું મોત કુદરતી રીતે થયું હોવાનું જણાય છે. જોકે, પી.એમ. રિપોર્ટ આવ્યા પછી જ મોતનું સાચું કારણ જાણી શકાશે. મહિલાના 30 વર્ષ પહેલા છૂટાછેડા થઇ ગયા હતા. તેમના બંને સંતાનો મહિલાના પતિ સાથે રહેતા હતા. હાલમાં તેઓ વિદેશ છે. પૂણોબેનની ચાર બહેનો છે. તેઓને આ અંગે પોલીસ દ્વારા જાણ કરવામાં આવી છે.