વડોદરાના તરસાલી બાયપાસ નજીકથી મળી આવેલ લાશની ઓળખ થઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

થોડા દિવસ અગાઉ વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીકથી અજાણ્યા પુરુષની લાશ મળી આવતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી મૃતદેહના પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરતા તેનું મોત ગળુ દબાવવાથી નીપજ્યું હોવાનું સપાટી પર આવતા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગત તા. 13 જૂનના રોજ તરસાલી બાયપાસ સર્વિસ રોડથી ભાલીયાપુરા ગામ તરફ જતા ભેંસાસુર મંદિર રોડ ઉપર પ્રીત ટેનામેન્ટની બાજુમાં આવેલ ખેતરમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. જેથી પોલીસે કુદરતી મોત મુજબ રજીસ્ટર કરી મૃતદેહની ઓળખ માટે સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખી હતી. દરમ્યાન મૂળ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચૈડિયા ગામના વતની અને હાલ વડોદરા શહેરના સોમા તળાવ નજીક એમ એમ વોરા શોરૂમ ની પાછળ આવેલ માધવમ ફ્લેટની સાઈટ ખાતે મજૂરી કામ કરતા મંજુલાબેન તડવીએ પતિની લાશને ઓળખી કાઢતા મૃતક ગોરસીંગભાઇ તડવી હોવાનું સપાટી પર આવ્યું હતું. ગોરસીંગભાઇના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેમનું ગળું દબાવી મોત નીપજાવ્યું હોવાનું કારણ બહાર આવ્યું હતું. તેમજ માથાના પાછળના ભાગે આંતરિક ઈજા પણ જણાઈ આવી હતી. જેથી પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો નોધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.









