3 દિવસની શોધખોળ બાદ એક પછી એક લાશ નદીમાંથી મળી : ડૂબી જનારા ચારે પૈકી 3 યુવકો સગાભાઈ હોવાનું બહાર આવતા અરેરાટીઃ કરૂણ બનાવના પગલે બરફટાણા ગામ સહિતના વિસ્તારમાં શોક
અમરેલી, : અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક ધાતરવડી નદીમાં બરફટાણા ગામના નહાવા અને માછલી પકડવા ગયેલા ચાર યુવાનો ડૂબ ગયા બાદ ત્રણ દિવસની શોધખોળ બ ાદ ચારેે-ચાર યુવાનોના મૃતદેહ મળી આળતા સમગ્ર વિસ્તારમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ હતી. મૃતક ચાર યુવાન પૈકી ત્રણ યુવાન સગાભાઈઓ હોવાનું આજે જાણવા મળ્યું હતું.
મળતી માહિતી અનુસાર, અમરેલી ફાયર વિભાગની ટીમે ૨૯મી ઓક્ટોબરે ડૂબી ગયેલા ચાર યુવકોમાંથી મેરામ પરમાર અને પીન્ટુ વાઘેલાનો મૃતદેહ શોધી કાઢયો હતો. જ્યારે આજે (૩૦મી ઓક્ટોબર) સવારે કાના પરમાર નામના યુવકનો મૃતદેહ ઘટનાસ્થળથી આશરે પાંચ કિલોમીટર દૂર જૂની માંડવડી ગામ નજીકથી મળી આવ્યો. જ્યારે ચોથા યુવક ભરત પરમારનો મૃતદેહ આજે (ગુરૂવાર) બપોરે ઘાતરવડી ડેમ પાસેના માડરડીથી જાપોદેરના પુલ નજીકની મળી આવ્યો છે
ગંભીર દુર્ઘટનાનું સૌથી દુઃખદ પાસું એ છે કે ડૂબી ગયેલા ચાર યુવાનોમાંથી ત્રણ યુવકો સગા ભાઈઓ હતા, જેના કારણે એક જ પરિવાર પર આભ તૂટી પડયું છે. મૃતદેહોની શોધખોળમાં ફાયર વિભાગની ટીમે ત્રણ મૃતદેહો શોધી કાઢયા હતા, જ્યારે એક મૃતદેહ શોધવામાં એનડીઆરએફની ટીમે પણ મદદ કરી હતી. નદીમાં ડૂબી જવાની આ ગંભીર દુર્ઘટનાએ રાજુલા પંથકના ગ્રામજનોને હચમચાવી દીધા છે.સમગ્ર ઘટના અંગે સ્થાનિક પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કરૂણ બનાવને પગલે બરફટાણા ગામ અને આજુબાજુના વિસ્તારમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે.


