વડોદરા બન્યું શોકમગ્ન : વધુ 8 પ્રવાસીઓના પાર્થિવદેહો પરિવારોને સોપાતા સ્વજનોના હૈયાફાટ કલ્પાંત સાથે અર્થીઓ ઊઠી
સ્વજનોની ભીની આંખો વચ્ચે અંતિમક્રિયા થતા પાર્થિવદેહો પંચમહાભૂતમાં વિલીન
અમદાવાદની અત્યંત કરુણ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વડોદરાના વધુ 8 પ્રવાસીઓના પાર્થિવદેહો પરિવારોને સોપાતા સ્વજનોના હૈયાફાટ કલ્પાંત સાથે અર્થીઓ ઊઠી હતી. સ્વજનોની ભીની આંખો વચ્ચે અંતિમક્રિયા થતા પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન થયા હતા. ગઈકાલે રવિવારે પાંચ પ્રવાસીઓના મૃતદેહો પરિવારને સોંપાયા હતા.
ગઈ તા.12 જૂનના રોજ અમદાવાદ ખાતે સર્જાયેલ પ્લેન ક્રેશ દુર્ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે. પ્લેન ક્રેશ થઈ આગની જ્વાળાઓમાં લપેટાઈ જતા મૃતકોની ઓળખ છતી કરવા પરિવારજનોના ડીએનએ સેમ્પલ મેચ કરવામાં આવી રહ્યા છે. ડીએનએ મેચ થતા મૃતકોના પાર્થિવદેહ પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે. ગઈકાલે રવિવારે વડોદરા શહેરના 5 પ્રવાસીઓના મૃતદેહો ગ્રીન કોરિડોર બનાવી લાવવામાં આવ્યા હતા. જેમાં માંજલપુરના સ્વ.કલ્પનાબેન પ્રજાપતિ, સુભાનપુરાના સ્વ. અંજુબેન શર્મા, વડસરના દંપતી સ્વ .નરેન્દ્રભાઈ પંચાલ અને સ્વ.ઉષાબેન પંચાલ, નવાયાર્ડના એલ્સિનાબેન મેકવાનના પાર્થિવદેહે પરિવારને સોપાતા શોકનું મોજું ફરી વળ્યું હતું. સ્વજનોની ભીની આંખો વચ્ચે લોકોના પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયા હતા. ત્યારબાદ આજે સોમવારે વધુ 8 પ્રવાસીઓના મૃતદેહો પરિવારને સોંપવામાં આવ્યા હતા. શહેરના અટલાદરા વિસ્તારના ફેધર સ્કાય વિલામાં રહેતા દંપતી સ્વ.નીરજ લાવણીયા અને સ્વ.અર્પણા લાવણીયા આ દુર્ઘટનાનો બન્યા હતા. તેઓ સંબંધીને મળવા જઈ રહ્યા હોય નીરજભાઈએ પ્લેનમાંથી અંતિમ સેલ્ફી મિત્રને મોકલી હતી. આજે તેઓના પાર્થિવ દેહ તેમના નિવાસ્થાને પહોંચતા સ્વજનોના આક્રંદથી સમગ્ર વિસ્તાર શોકમગ્ન બન્યો હતો. અંતિમ યાત્રા નીકળતા લોકો સ્વયંભૂ જોડાયા હતા. અને વડીવાડી સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર થયા હતા. જ્યારે વાઘોડિયા ડભોઇ રીંગ રોડના તીર્થ બંગલોઝમાં રહેતા સ્વ.આનંદીબેન રાણા તેમના કરમસદ ખાતે રહેતા સગા બહેન સ્વ.ભાવનાબેન રાણા સાથે સબંધીને મળવા જઈ રહ્યા હતા. આ દુર્ઘટનામાં બંને બહેનોએ પણ દુનિયાને અલવિદા કહ્યું હતું. સ્વ.ભાવનાબેનનો પાર્થિવ દેહ આજે પરિવારને સોંપાયો હતો. પાર્થિવદેહ તેમના નિવાસ્થાને પહોંચતા સ્વજનોના હૈયાફાટ આક્રંદથી વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. સ્વજનોએ તેમની અંતિમ ક્રિયા કરતા પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો. તેમજ વાડી વિસ્તારના મહાદેવ તળાવ પાસે આવેલ મધુકુંજ સોસાયટીમાં રહેતા 25 વર્ષીય ભાવિક મહેશ્વરી લંડનમાં અભ્યાસ પૂર્ણ કરી જોબ કરતો હતો. દુર્ઘટનાના એક દિવસ અગાઉ તેણે કોર્ટ મેરેજ કર્યા હતા. તેઓની અંતિમયાત્રામાં રહીશો અને સ્વજનો જોડાયા હતા. ગાજરાવાડીના રામનાથ સ્મશાનમાં અંતિમ સંસ્કારમાં કઠણ કાળજાના માનવીની આંખો પણ ભીની થઈ ગઈ હતી. જ્યારે માંજલપુરના ગોકુલ આશિષ ડુપ્લેક્સ ખાતે રહેતા સ્વ.ભારતીબેન પટેલ લંડન રહેતા પુત્રને મળવા માટે હરખભેર નીકળ્યા બાદ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું. આજે તેમના નિવાસ્થાને અંતિમ દર્શનાર્થે મોટી સંખ્યામાં સ્વજનો પહોંચ્યા હતા. સ્વજનોએ ભારે હૈયે તેમને વિદાય આપી હતી. માંજલપુર સ્મશાન ખાતે તેઓના અંતિમ સંસ્કાર થયા હતા.
યાસ્મીનબેન વ્હોરાની વતન આણંદ ખાતે દફનવિધિ કરાઈ
તાંદલજા વિસ્તારની હમઝા પાર્ક સોસાયટીમાં રહેતા સ્વ.યાસ્મીનબેન વ્હોરા વહુના શ્રીમંત માટે લંડન જઈ રહ્યા હતા. આ દુર્ઘટનામાં તેઓએ પણ દુનિયાને અલવિદા કહ્યું હતું. ડીએનએ મેચ થતા તેમનો પાર્થિવ દેહ પરિવારને સોપાયો હતો. સ્વ.યાસ્મીનબેનનું વતન આણંદ હોય પાર્થિવ દેહને વડોદરાથી આણંદ લઈ જઈ દફનવિધિ કરાઈ હતી.
ત્રણ દીકરીઓએ માતા- પિતાને આપ્યો અગ્નિદાહ
વાસણા રોડની શિવશક્તિ સોસાયટીમાં રહેતા વલ્લભભાઈ અધેડા પત્ની વીણાબેન સાથે પુત્રીને મળવા માટે જઈ રહ્યા હતા. આ દુર્ઘટનામાં દંપતીનું નિધન થતા બંનેની ઓળખ થયા પાર્થિવ દેહ સોમવારે મોડી સાંજે પરિવારને સોંપવામાં આવ્યા હતા. પાર્થિવ દેહ તેમના નિવાસસ્થાને પહોંચતા સોસાયટીમાં શોકનુ મોજું ફરી વળ્યું હતું. સોસાયટીના રહીશોનું કહેવું હતું કે, દંપતિ હસમુખા સ્વભાવના હોય સોસાયટીને તેઓની ખોટ સાલશે. વડીવાડી સ્મશાન ખાતે ત્રણેય દીકરીઓએ પોતાના માતા - પિતાને અગ્નિદાહ આપ્યો હતો.
દિવંગત હુતાત્માંઓને શ્રદ્ધાંજલિ આપતા નગરજનો
સયાજી હોસ્પિટલ ખાતે નર્સિંગ સ્ટાફ ,તબીબ, કર્મચારીઓએ મીણબત્તી પ્રગટાવી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તથા કારેલીબાગ સ્ફટિકેશ્વર મહાદેવ મંદિરે મૃતકોની આત્માની શાંતિ માટે યજ્ઞનું આયોજન કરાયું હતું. તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચોથા વર્ગ કર્મચારી સંઘ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ હેતુ ત્રણ દિવસ આંદોલન મોકૂફ રખાયું હતું. જ્યારે વારસીયામાં અંબિકા મહિલા મંડળની બહેનોએ હિરાશક્તિ માતાના મંદિરે મોક્ષ હેતુ ભજનોથી અંજલી અર્પી હતી.