Get The App

વડોદરાના વધુ 5 પ્રવાસીઓના પાર્થિવદેહો પરિવારોને સોંપાતા અંતિમયાત્રાઓ નીકળી, પરિવારજનોએ ભારે હૈયે આપી વિદાય

એમ્બ્યુલન્સો નિવાસ્થાને પહોંચતાની સાથે જ પરિવારજનોનું ભારે આક્રંદ

અંતિમ દર્શનાર્થે મોટી સંખ્યામાં લોકો જોડાયા ,પુષ્પાંજલિ અર્પી શોકાતુર પરિવારોને સાંત્વના આપી

Updated: Jun 18th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરાના વધુ 5 પ્રવાસીઓના પાર્થિવદેહો પરિવારોને સોંપાતા અંતિમયાત્રાઓ નીકળી, પરિવારજનોએ ભારે હૈયે આપી વિદાય 1 - image



અમદાવાદની અત્યંત કરુણ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વડોદરાના વધુ 5 પ્રવાસીઓના ડીએનએ મેચ થતા પાર્થિવદેહો પરિવારને સોપાયા હતા. પાર્થિવદેહો સાથેની એમ્બ્યુલન્સો નિવાસ્થાને પહોંચતાની સાથે જ પરિવારજનોના આક્રંદથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું. અંતિમ દર્શનાર્થે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અને પુષ્પાંજલિ અર્પણ કરી શોકાતુર પરિવારોને સાંત્વના આપી હતી.

વડોદરાના વધુ 5 પ્રવાસીઓના પાર્થિવદેહો પરિવારોને સોંપાતા અંતિમયાત્રાઓ નીકળી, પરિવારજનોએ ભારે હૈયે આપી વિદાય 2 - image


અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ  નેન્સીબેન પટેલનો પાર્થિવદેહ આજે તેમની સાસરી હરણી વારસિયા રોડ સ્થિત પરાગરજ સોસાયટી ખાતે લાવવામાં આવતા સ્વજનોના આક્રંદથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. નેન્સીબેન પટેલની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ જોડાયા હતા. વડીવાડી સ્મશાન ખાતે તેઓના અંતિમ સંસ્કાર થયા હતા. મૂળ બોડેલીના વતની નેન્સીબેનના લગ્ન લંડનમાં સ્થાયી થયેલ ચૈત્રેશ પટેલ સાથે થયા હતા. તેઓ વડોદરા પોતાની અઢી વર્ષની પુત્રીના બાબરીના પ્રસંગ હેતુ આવ્યા હતા. બાબરીનો પ્રસંગ પૂર્ણ કરી બાળકીને વડોદરા મૂકી પરત જવા રવાના થયા હતા. ફ્લાઈટ ઉડાન ભરે તે પહેલા તેમણે માતા સાથે વાત કરી હતી કે, "પાંચ મિનિટમાં પ્લેન ઉડશે હું ફોન મુકું છું". તેમજ ગોત્રી વિસ્તારમાં ટીબી હોસ્પિટલ ક્વોટર્સની પાછળના ભાગે આવેલ રોશની પાર્ક ખાતે રહેતા બિઝનેસમેન કેતનભાઇ શાહ લંડનમાં સ્થાયી થયા હતા. પ્લેન ક્રેશ દુર્ઘટનામાં તેમણે પણ દુનિયાને અલવિદા કહ્યું હતું. કેતનભાઇ પિતાને મળવા માટે વડોદરા આવ્યા હતા. પત્ની અને સંતાનો યુકેથી આવવાના હોવાથી તેમનો પાર્થિવ દેહ સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો હતો. આજે તેઓના નિવાસસ્થાનથી વડીવાડી સ્મશાન સુધી તેઓની અંતિમયાત્રામાં નીકળી હતી. સ્મશાનમાં કેતનભાઇ પત્ની રડી રડીને  બેભાન થઈ ગયા હતા. જ્યારે વાડી વિસ્તારના બદરી મહોલ્લામાં રહેતા 60 વર્ષીય મરિયમબહેન ઇનાયત પાદરીયાની યુકે સ્થાયી થયેલ તેમની પુત્રી જેબાબહેનએ તાજેતરમાં સંતાનને જન્મ આપ્યો હોય પૌત્રીનું મોઢું જોવા તેઓ યુકે જવા નીકળ્યા હતા. પ્લેન ક્રેશમાં તેમનું કરુણ અવસાન નિપજતા આજે તેમનો પાર્થિવદેહ નિવાસસ્થાને પહોંચતાની સાથે જ પરિવારના હૈયાફાટ રુદનથી સમગ્ર વિસ્તારમાં ભારે શોકઅને ગમગીનીનો માહોલ છવાયો હતો. ઝેનિથ શાળાની પાછળ આવેલ અલવી વ્હોરા કબ્રસ્તાનમાં તેઓની દફનવિધિ કરાઇ હતી. આ ઉપરાંત વડોદરા નજીક વરણામા ગામ ખાતે રહેતા તરલીકાબેન પટેલ પુત્રીને મળવા માટે લંડન જઈ રહ્યા હતા. પુત્રીને મળવાના હરખ વચ્ચે પ્લેન ક્રેશ થતા તેઓનો જીવનદીપ બુઝાયો હતો. આજે તેઓનો પાર્થિવદેહ નિવાસ્થાને આવી પહોંચતા સમગ્ર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ડભોઇના ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં લોકો અંતિમયાત્રામાં જોડાયા હતા.

વડોદરાના વધુ 5 પ્રવાસીઓના પાર્થિવદેહો પરિવારોને સોંપાતા અંતિમયાત્રાઓ નીકળી, પરિવારજનોએ ભારે હૈયે આપી વિદાય 3 - image

બે વર્ષની પુત્રીની દફનવિધિ, હજુ માતાનું ડીએનએ મેચ થયું નથી


વાડીની ખત્રીપોળ રહેતા અને લંડનમાં સ્થાયી થયેલ સદીકાબેન તપેલીવાલા બે વર્ષની પુત્રી ફાતેમા મોહમ્મદમિયાં તપેલીવાલા સાથે વડોદરા સમૂહ લગ્નમાં આવ્યા હતા. અને ઈદ પર્વ મનાવી પરત જઈ રહ્યા હતા ત્યારે માતા પુત્રી પ્લેન ક્રેશ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. પુત્રીનો ડીએનએ મેચ તથા બુધવારે સાંજે તેનો પાર્થિવ દેહ વાડી વિસ્તારના નિવાસ્થાને આવી મોટી સંખ્યામાં લોકો તેના જનાજામાં સ્વયંભૂ જોડાયા હતા. શાસ્ત્રી બાગ ખાતે આવેલ મિસરી કુંઇ કબ્રસ્તાનમાં દફનવિધિ થઈ હતી. હજુ સુધી માતાનું ડીએનએ મેચ ન થતા પરિવારને પાર્થિવદેહ મળ્યો નથી. 

વડોદરાના વધુ 5 પ્રવાસીઓના પાર્થિવદેહો પરિવારોને સોંપાતા અંતિમયાત્રાઓ નીકળી, પરિવારજનોએ ભારે હૈયે આપી વિદાય 4 - image

Tags :