ઈ-બસ શરૂ કરવામાં BMC રાજ્યમાં પ્રથમ, નવી બસો ભાવનગરની લાઈફલાઈન બનશે

- પીએમ બસ સેવાનો દરરોજ ત્રણ હજારથી વધુ નાગરિકો લાભ લે તેવો અંદાજ
- નાયબ મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત-લોકાર્પણ, શહીદ જવાનના પરિવારને ચેક અર્પણ, 50 બસના સંચાલન અને મેન્ટેનન્સ પાછળ 12 વર્ષમાં 350 કરોડનો ધૂમાડો કરવો પડશે
પ્રધાનમંત્રી મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયેલી પીએમ બસ સેવા ભાવનગરની લાઈફલાઈન બનશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પીએમ બસ યોજ નાના ફેઝ-૨ અંતર્ગત ઈલેક્ટ્રિક બસ સેવા શરૂ કરનાર ભાવનગર મનપા ગુજરાતનું પ્રથમ શહેર બન્યું છે. શરૂઆતમાં ૫૦ ઈ-બસ સાથે ૮ રૂટ પર સિટી બસ સેવા શરૂ થશે. વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને મજૂરોને સસ્તી અને સુરક્ષિત પરિવહનની સેવાનો લાભ મળશે.
આ તકે કેબિનેટ કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, ૧૨ વર્ષ માટે ૫૦ બસોના સંચાલન અને મેન્ટેનન્સ માટે રૂા.૩૫૦ કરોડનો ખર્ચ થશે. કેન્દ્ર સરકાર તરફથી ૧૨ વર્ષ દરમિયાન ૧૦૩ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. આધુનિક ઈ-બસ સેવામાં ભાવનગર સહિત આસપાસના ગામડાઓને આવરી લેવાયા છે. વધુમાં દરરોજ અંદાજે ત્રણ હજારથી વધુ નાગરિકો આ સેવાનો લાભ લેશે તેવો દાવો કરાયો છે. પીએમ ઈ-બસ સેવા અંતર્ગત લોગો સ્પર્ધાના વિજેતાને ચેક વિતરણ અને ભાગ લેનારાઓને પ્રોત્સાહક ઈનામ વિતરણ કરાયા હતા.
વધુમાં નાયબ મુખ્યમંત્રીના હસ્તે વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ ઉપરાંત નક્સલીઓ સાથેની અથડામણમાં વીરગતિ પામેલા દેવગાણા ગામના શહીદ જવાન મેહુલભાઈ સોલંકીના પરિવારને એક કરોડનો ચેક અર્પણ કરાયો હતો. તેમજ કાળિયાબીડમાં સરદાર પટેલ એજ્યુ. ઈન્સ્ટિ. ખાતે ચેરિટી ભવનનું ખાતમુહૂર્ત કરાયું હતું. પાલિતાણાના નાનીમાળ ગામે ૧૨ જ્યોર્તિલિંગ સહિત ૧૭ મંદિરનો જીર્ણોદ્ધાર સમાશોઆનં ના.મુખ્યમંત્રી, કેન્દ્રીય અને રાજ્ય કક્ષાના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ટ્રેડ ડીલથી હીરા-કાપડ ઉદ્યોગને ફાયદો થશે
અમેરિકા સાથે થયેલી ટ્રેડ ડીલથી હીરા અને કાપડ ઉદ્યોગને સીધો ફાયદો થશે. આ ઉપરાંત યુ.એસ. સાથેની ટ્રેડ ડીલના કારણે રાજ્યના લાખો વેપારીઓ માટે વેપારની નવી સંભાવનાઓ ખુલશે તેમ ભાવનગર ખાતે આયોજીત કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.









