Get The App

જૂનાગઢમાં અગરબત્તીના કારખાનામાં બ્લાસ્ટથી બારી અને ગાડીઓના કાચ તુટયા

Updated: Aug 25th, 2025

GS TEAM

Google News
Google News
જૂનાગઢમાં અગરબત્તીના કારખાનામાં બ્લાસ્ટથી બારી અને ગાડીઓના કાચ તુટયા 1 - image


જૂનાગઢના રહેણાક વિસ્તારમાં જોખમી કારખાના ધમધમે છે : બોઈલરના બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે લોકો ડરના માર્યા દોડી-દોડીને ઘરની બહાર નીકળી ગયા

જૂનાગઢ, : જૂનાગઢમાં રહેણાંક વિસ્તારમાં આવેલા અગરબત્તીના કારખાનામાં બ્લાસ્ટ થતા આસપાસના રહેણાંક મકાનો અને કારને નુકસાન થયું હતું. ધડાકાભેર બ્લાસ્ટ થતા થોડીવાર માટે સોસાયટીમાં ફફડાટ મચી ગયો હતો. કારખાનાનું બોઈલર ફાટવાથી આગ પ્રસરી હતી. આગના બનાવ અંગે ફાયર વિભાગને જાણ થતા તેણે આગ પર કાબુ મેળવ્યો હતો. સ્થાનિકોએ માંગણી કરી છે કે, રહેણાંક વિસ્તારમાં આવા જોખમી કારખાનાઓ ધમધમે છે, ક્યારેક નિર્દોષ લોકોનો જીવ લેવાશે.

શહેરના ખલીલપુર રોડ પર આવેલી નિલકંઠનગર સોસાયટીમાં આવેલા અગરબત્તીના કારખાનાના બોઈલરમાં બ્લાસ્ટ થયો હતો. બોઈલરના બ્લાસ્ટની એટલી તીવ્રતા હતી કે આસપાસના મકાનોની કાચની બારીઓ તોડી નાખી હતી. આ ઉપરાંત આસપાસમાં જે કાર પડી હતી તેના કાચ પણ તોડી નાખ્યા હતા. અચાનક જ સવારના સમયે રહેણાંક મકાનમાં ધડાકાભેર કાચ તુટી જતા સ્થાનિક લોકોમાં ફફડાટ મચી ગયો હતો અને લોકો દોડી-દોડીને ઘરની બહાર નીકળી ગયા હતા. ત્યારબાદ તપાસ કરી તો સોસાયટીના રહેણાંક મકાનોની વચ્ચે આવેલા અગરબત્તીના કારખાનામાં બોઈલર ફાટયું હતું અને તેમાં આગ પ્રસરી હતી. તુરંત જ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે આવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનાથી ફફડી ઉઠેલા સોસાયટીના રહીશોએ રોષભેર જણાવ્યું હતું કે, રહેણાંક વિસ્તારમાં આવા જોખમી કારખાનાઓને તંત્રએ મંજુરી આપવી ન જોઈએ, સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ જો કોઈ દુર્ઘટના બની હોત તો જવાબદાર કોણ ? તેવા સવાલો ઉઠયા છે. નિલકંઠનગર સોસાયટીના રહીશોએ માંગ કરી છે કે, તાત્કાલીક આ જોખમી કારખાનાને અહીંથી દુર કરવામાં આવે અને જે નુકસાન થયું છે તેનું તંત્ર વળતર વસુલ કરાવી આપે. અનેક રહેણાંક વિસ્તારોની અંદર જોખમી કારખાનાઓ ધમધમી રહ્યા છે. તંત્ર દ્વારા આવા કારખાનાઓ વિશેની તપાસ કરવામાં જ આવતી નથી. જ્યારે કોઈ દુર્ઘટના બનશે ત્યારે તંત્ર દોડતું થશે.

Tags :