ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે ગુજરાતના કચ્છ અને બનાસકાંઠામાં 7 કલાક સુધી બ્લેકઆઉટ
Blackout in Kutch-Banaskantha: ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. બુધવારે મોડી રાત્રે કાશ્મીર,પંજાબ અને રાજસ્થાન પર પાકિસ્તાને ડ્રોન એટેક જ નહીં, પણ મિસાઇલો છોડી હતી. આ જોતાં કેન્દ્ર સરકારે આદેશ કરતાં મોડી રાત્રે કચ્છમાં બ્લેકઆઉટ કરાયું હતું. એટલું જ નહીં, જ્યાં સુધી નવા આદેશ ન આવે ત્યાં સુધી રોજ કચ્છમાં રાત્રે બ્લેકઆઉટ કરવામાં આવશે. યુદ્ધની સ્થિતિને જોતાં બનાસકાંઠા,પાટણ સહિતના સરહદી વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર કરાયું છે. બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના 12 ગામ અને વાવ તાલુકાના 12 ગામમાં પણ બ્લેકઆઉટ કરાયું છે.
લોકોને ઘર-સલામત સ્થળે રહેવા સૂચના,સેના-તંત્ર સતર્ક
મોડી રાત્રે પાકિસ્તાને પંજાબ-રાજસ્થાન અને કાશ્મીરના સરહદી વિસ્તારોમાં ડ્રોન એટેક અને મિસાઇલ હુમલો કરતાં કેન્દ્રીય ગૃહ વિભાગે સરહદી વિસ્તારોને સતર્ક રહેવા આદેશ આપ્યો હતો. કેન્દ્રના આદેશને પગલે નલિયા,નખત્રાણા સહિત સમગ્ર કચ્છમાં અંધારપટ છવાયો હતો. શહેરી વિસ્તારોમાં જ નહી, ગ્રામ્ય વિસ્તારોમાં ય લાઇટો બંધ કરી દેવામાં આવી હતી. સ્થાનિક તંત્રે લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી હતી. સમગ્ર સરહદી વિસ્તારોમાં લશ્કરી દળોએ મોરચો સંભાળ્યો છે. પાકિસ્તાનની તમામ લશ્કરી હરકત પર બાજ નજર રાખવામાં આવી છે. ભૂજ એરપોર્ટ પર વાયુસેના એલર્ટ પર છે. કોઇ પણ સ્થિતિને પહોંચી વળવા સેના સજ્જ છે.
ગાંધીનગર કંટ્રોલ રૂમથી સમગ્ર સ્થિતિનું મોનિટરિંગ
યુદ્ધની પરિસ્થિતિમાં કેવી સાવચેતી રાખવી તે અંગે લોકોને જ મોકડ્રીલમાં જ સમજ આપવામાં આવી હતી. ગુરૂવારે પણ સરહદી વિસ્તારોમાં લોકોને સલામત સ્થળે રહેવા સૂચના અપાઇ હતી. બનાસકાંઠા અને પાટણના સરહદી ગામોના લોકોને પણ યુદ્ધની સ્થિતિથી વાકેફ કરી સાવચેત કરાયાં છે. કલેક્ટર સહિત સ્થાનિક તંત્ર સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યુ છે. સરહદી વિસ્તારોની ખાનગી-સરકારી હોસ્પિટલોને પણ ડોક્ટરો,પેરા મેડિકલ સ્ટાફથી સજ્જ રખાઇ છે. દવાનો પુરતો જથ્થો મોકલી દેવાયો છે. વીજપુરવઠો ખોરવાય તો વૈકલ્પિક વ્યવસ્થા પણ સ્થાનિક તંત્રે ગોઠવી દીધી છે. પાટનગર ગાંધીનગર કંટ્રોલરૂમથી સમગ્ર સ્થિતિનું મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.