ભાજપ શાસિત ચલાલાના નગરપાલિકાના પ્રમુખનું અચાનક રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
Amreli News: અમરેલી જિલ્લાના ચલાલામાં રાજકીય હલચલ જોવા મળી રહી છે. ભાજપ શાસિત ચલાલા નગરપાલિકાના પ્રમુખ નયનાબેન વનરાજભાઈ વાળાએ અચાનક પોતાના પદેથી રાજીનામું આપી દેતાં રાજકીય વર્તુળોમાં અનેક તર્કવિતર્કો સર્જાયા છે.
તેમણે જિલ્લા કલેકટર સમક્ષ પોતાનું લેખિત રાજીનામું સુપરત કર્યું છે. રાજીનામા પાછળનું કારણ દર્શાવતા તેમણે જણાવ્યું કે, 'કૌટુંબિક કામકાજને લીધે તેઓ પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવી શકતા નથી.' જોકે, આ કારણને લઈને સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ચલાલા નગરપાલિકામાં કુલ છ વોર્ડ છે અને તમામ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના સભ્યો ચૂંટાઈ આવ્યા છે. આ સંપૂર્ણ બહુમતી હોવા છતાં પ્રમુખના રાજીનામાથી અનેક સવાલો ઊભા થયા છે. આગામી સમયમાં ભાજપ દ્વારા નવા પ્રમુખની વરણી કરવામાં આવશે. જોકે જાણવા મળતી માહિતી પ્રમાણે, પ્રમુખની જવાબદારી લીઘા બાદ લોકોના કામ ન થતા હોય અને આંતરિક મતભેદ સદસ્યો હોવાના પણ એક કારણને લીધે પણ રાજીનામું આપ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.