પોરબંદરમાં ભાજપના સંસદસભ્યએ મોઢવાડિયાને ઉમેદવાર જાહેર કર્યા!
માંડવિયાએ લાડાણીની ટિકિટ અંગે નિર્દેશ આપ્યા બાદ બદલાતા રંગઢંગઃ 40 વર્ષ સુધી મોદીની ટીકા કરવા બદલ અર્જૂનભાઈએ પશ્ચાતાપ વ્યક્ત કર્યો
પોરબંદર, : પોરબંદરમાં ચોપાટી વિસ્તારમાં ગઈકાલે લોકસભા ઉમેદવાર ,કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલ્ટાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પોરબંદરના સાંસદ રમેશ ધડુકે મને ખાતરી છે કે માંડવીયા અને અર્જૂન મોઢવાડિયા ચૂંટાઈ જશે અને પોરબંદરનો વિકાસ કરશે તેમ કહીને મોઢવાડિયાનું નામ વિધાનસભા પેટાચૂંટણી માટે ભાજપે નક્કી કરી લીધાનું જાણતા કે અજાણતા જાહેર કરી દીધું હતું.
તેમણે ઉમેદવારને સંબોધીને એવી ટકોર પણ કરી હતી કે ચૂંટાઈ જાઓ પછી પોરબંદરના એરપોર્ટની બંધ વિમાની સેવા શરૂ કરાવવા કાઁઈક કરજો, હું તો કહી કહીને થાકી ગયો છું છતાં વિમાન સેવા શરૂ કરાઈ નથી.
આ કાર્યક્રમમાં અર્જૂન મોઢવાડિયાએ ચાલીસ વર્ષ સુધી ભાજપ અને નરેન્દ્ર મોદીની આકરી ટીકા કરવા બદલ જાણે પશ્ચાતાપ વ્યકત કરતા હોય તેમ કહ્યું કે એક સમયે હું નરેન્દ્ર મોદી અને અમિત શાહની ટીકા કરવામાંથી ઉંચો આવતો ન હતો. તેમની સરકારે રણોત્સવ શરૂ કર્યો ત્યારે તેની મજાક ઉડાડતો હતો પરંતુ, હવે ઘોરડોનું રણ શ્રેષ્ઠ પ્રવાસન ધામ બન્યું છે.મોદીની પ્રશંસા કરવા સાથે તેમણે, જેના ચાલીસ વર્ષ વખાણ કર્યા તે કોગ્રેસની આકરી ટીકા પણ કરી હતી .
આ અન્વયે એવું પણ બહાર આવ્યું કે થોડા સમય પહેલા પોરબંદરમાં ભાજપના નેતાએ યોજેલા કથામાં મોઢવાડિયા હાજર રહ્યા ત્યારે આત્માના કલ્યાણ માટે યોજાતી કથામાં જ પક્ષપલ્ટો કરવાનું બીજ રોપાઈ ગયું હતું તેમ હવે ખુદ સાંસદે જાહેર કર્યું હતું.