Gujarat

મહેમદાવાદ પાલિકાની સભામાં ભાજપના સભ્યોનો હોબાળા સાથે વોકઆઉટ

By GS TEAM
28 Feb 20263 mins read
મહેમદાવાદ પાલિકાની સભામાં ભાજપના સભ્યોનો હોબાળા સાથે વોકઆઉટ

- ભાજપ શાસિત નગરપાલિકાની સાધારણ સભામાં વિરોધ 

- જે વિસ્તારમાં વેરો ભરાશે તે જ વિસ્તારમાં સફાઇ અને ગટરના કામો થશે તેવા પ્રમુખના વલણ સામે નગરસેવકોનો વિરોધ 

નડિયાદ : ભાજપ શાસિત મહેમદાવાદ નગરપાલિકા પ્રમુખ પ્રશાંત પટેલ અને ચીફ ઓફિસરના મનસ્વી નિર્ણય અને ૫.૫ કરોડનું બાકી વીજ બિલ મામલે આજે મળેલી સામાન્ય સભામાં હોબાળો થયો હતો અને ભાજપના નગરસેવકો વોટઆઉટ કરીને પ્રમુખ અને ચીફ ઓફિસર સામે વિરોધ કર્યો હતો. આગામી દિવસોમાં વિવાદ વધુ ઉગ્ર બને તેવી સંભાવન ાછે. 

મહેમદાવાદ નગરપાલિકાની આજે સામાન્ય સભા મળી હતી. જેમાં પાલિકાના પ્રમુખ પ્રશાંત પટેલ અને ચીફ ઓફિસર કૈલાશ બહેન પ્રજાપતિ દ્વારા લેવામાં આવતા મનસ્વી નિર્ણયો, બંધ બારણે તૈયાર કરાયેલા એજન્ડા બાબતે સભ્યોમાં નારાજગી જોવા મળી હતી. સભામાં સભ્યોએ આક્ષેપ કર્યો છે કે, પાલિકાના ચૂંટાયેલા સભ્યોની કોઇ કિંમત રહી નથી. તંત્ર પોતાની મરજી મુજબ જ વહીવટી ચલાવે છે. જુના મંજૂર થયેલા કામો ખોરંભે પડયા છતાં નવા કામોના એજન્ડા લાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. ખાસ કરીને કર્મચારીઓ દ્વારા સભ્યો સાથે ઉદ્રત વર્તન અને વિકાસના કામોમાં કરાતી અવગણનાના મુદ્દે સભામાં હંગામો થયો હતો. પ્રમુખ સાથે કોઇ સહમતિ ન સધાતા અને સભાની પ્રોસીડિંગમાં ગેરરીતિની આશંકા વ્યકિત કરી ૨૦ સભ્યોએ એજન્ડા પર સહી કરવાનો ઇન્કર કરીને વોકઆઉટ કર્યો હતો. 

પાલિકા પ્રમુખે ૫.૫ કરોડના બાકી વીજ બિલની વાત કરતા સભ્યો ઉશ્કેરાઇ ગયા હતા. સભ્યોએ આક્ષેપ કર્યો છે કે, ચીફ ઓફિસર અને પ્રમુખ જે વિસ્તારમાં વેરો ભરાશે ત્યાં જ સફાઇ કે ગટરના કામો થશે. આ પ્રકારની કામગીરી લોકશાહી વિરોધી હોવાનું જણાવીને સભ્યોએ વિરોધ કર્યો હતો. આ ઉપરાંત મરણના દાખલા બાબતોમાં વેરો ભર્યો છે કે નહીં તેની તપાસ કરી સામાન્ય જનતાને હેરાન કરવામાં આવતી હોવાનો વિગતો સભામાં બહાર આવી છે. જોકે, આ મામલે વિવાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવના સેવાઇ રહી છે. 

કારોબારી ચેરમેનની સત્તા વિરુદ્ધ ચીફ ઓફિસરના નિવેદનથી રોષ

નગરપાલિકામાં કારોબારી ચેરમેનનું પદ મહત્વનું ગણાય છે. પરંતુ મહેમદાવાદમાં ચીફ ઓફિસર દ્વારા કારોબારી ચેરમેનની કોઈ સત્તા કે કિંમત નથી તેવા પ્રકારના નિવેદનો કરવામાં આવતા હોવાનો આક્ષેપ સભ્યોએ કર્યો છે. આ બાબતે સભામાં ઉગ્ર રજૂઆતો થઈ હતી અને સભ્યોએ જણાવ્યું હતું કે જો જવાબદાર હોદ્દેદારોનું માન જળવાતું ન હોય તો વહીવટમાં ચૂંટાયેલા સભ્યોની શું ગણતરી થાય તે મોટો પ્રશ્ન છે.

નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફીસરે જવાબ આપવાનું ટાળ્યું

આ સમગ્ર મામલે સત્તાધારી પક્ષના પ્રમુખ પ્રશાંત પટેલ અને ચીફ ઓફીસર કૈલાશબેન પ્રજાપતિનો વારંવાર સંપર્ક કરવા છતાં તેમણે ફોન રિસીવ કરી જવાબ આપવાનું ટાળ્યુ હતું. જેથી સભ્યોના વોકઆઉટની ઘટના બાદ રાજકીય સ્તરે ઉચ્ચ કક્ષાએથી ડેમેજ કન્ટ્રોલ ન કરી શકવા બદલ પ્રમુખ અને અન્ય કેટલાક રાજકીય અગ્રણીઓ સામે લાલ આંખ કરાઈ હોવાના પણ સંકેત મળી રહ્યા છે.

ચકલાસી પાલિકામાં પણ અગાઉ પાલિકા પ્રમુખને બદલવાની નોબત આવી હતી 

મહેમદાવાદ જેવી જ સ્થિતિ અગાઉ ચકલાસી નગરપાલિકામાં પણ જોવા મળી હતી. ત્યાં પણ ચીફ ઓફિસર અને પ્રમુખની કામગીરી સામે શાસક પક્ષના સભ્યોએ બાયો ચડાવી હતી. વિકાસના કામોમાં અવગણના અને વહીવટી મનસ્વીતાના આક્ષેપો સાથે સભ્યોએ લાંબા સમય સુધી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિવાદ એટલો વકર્યો હતો કે અંતે સંગઠન અને ઉચ્ચ સ્તરેથી દખલગીરી કરવાની ફરજ પડી હતી. ચકલાસીમાં સભ્યોની નારાજગી દૂર કરવા માટે અંતે નગરપાલિકા પ્રમુખને પદ પરથી બદલવાની નોબત આવી હતી,.