Get The App

મહુવા યાર્ડમાં એક રૂપિયે કિલો ડુંગળી વેચાતાં ખેડૂતો રાતાપાણીએ રોયા, ઉભા પાકમાં ટ્રેકટર ફેરવ્યા

Updated: May 22nd, 2025

GS TEAM


Google News
Google News
મહુવા યાર્ડમાં એક રૂપિયે કિલો ડુંગળી વેચાતાં ખેડૂતો રાતાપાણીએ રોયા, ઉભા પાકમાં ટ્રેકટર ફેરવ્યા 1 - image


- માવઠાંના માર વચ્ચે ડુંગળીને ખેતરથી યાર્ડ લઈ જવાનો ખર્ચ માથે પડતો હોવાની બૂમ 

- પ્રતિ કિલો રૂા. 1 થી 4 સુધીના ભાવના કારણે મહુવા યાર્ડમાં ડુંગળીની આવક પર અચોક્કસ મુદ્દત સુધીની બ્રેક લગાવાઈઃ નવી જાહેરાત થયા બાદ જથ્થો લાવવા ખેડૂતોને તાકિદ 

ભાવનગર : એક તરફ માવઠાંની દહેશત અને બીજી તરફ પાક તૈયાર થતાં જ ભાવમાં ઘટાડાના કારણે મહુવા પંથકમાં ડુંગળી પકવતાં ખેડૂતોની હાલત પડયા પર પાટું જેવી થઈ છે. છેલ્લાં થોડા દિવસોથી સતત ઘટતાં ડુંગળીના ભાવ વચ્ચે છેલ્લાં બે દિવસથી ડુંગળીના ભાવ ઘટીને પ્રતિ કિલો એક રૂપિયે પહોંચી જતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.જેના કારણે ખેડૂતોને યાર્ડ સુધી ડુંગળી પહોંચાડવાનો ખર્ચ  માથે પડે તેમ હોવાથી ઘણાંખરા ખેડૂતોએ તેમના ખેતરમાં ડુંગળીના ઉભા પાકમાં ટ્રેકટર ફેરવવાની સાથે માલઢોરને પાક ખાવૉ આવી દિધો હતો. 

રાજ્યમાં સફેદ અને લાલ ડુંગળીના ઉત્પાદનમાં પ્રથમ હરોળમાં આવતાં ભાવનગર જિલ્લામાં સૌથી વધુ મહુવા અને તળાજા પંથકમાં મોટાપાયે ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું છે. હાલ આ પાક તૈયાર થઈ જતાં ખેડૂતો તેને યાર્ડમાં વેચાણ અર્થે જવાની તૈયારી કરતાં હતા. તેવામાં એક તરફ જિલ્લામાં પડી રહેલાં કમોસમી વરસાદને લઈ ખેડૂતોને પાક પલળી જવાની અને તેના કારણે ડુંગળીની ગુણવત્તા ઘટતાં પુરતા ભાવ ન મળવાની ચિંતા સતાવી રહી હતી. તેવામાં છેલ્લાં બે દિવસથી મહુવા યાર્ડમાં એકાએક સફેદ અને લાલ ડુંગળીના ભાવ તળિયે પહોંચી જતાં ખેડૂતોની હાલત પડયું પર પાટું જેવી થઈ છે. છેલ્લાં બે દિવસમાં ડુંગળી પ્રતિ કિલો રૂા. એકથી રૂા.૪ પ્રતિ કિલોના ભાવ વેચાતા યાર્ડમાં ડુંગળીનો ભરાવો થઈ ગયો હતો. જેના કારણે આજથી જ મહુવા યાર્ડે તમામ ખેડૂતોને યાર્ડમાં અચોક્કસ મુદ્દત કે નવી જાહેરાત ન થાય ત્યાં સુધી સફેદ કે લાલ ડુંગળીનો જથ્થો લાવવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. જો કે, આજે પ્રતિબંધ છતાં યાર્ડમાં પડેલી સફેદ અને લાલ ડુંગળીની અંદાજિત ૪૫ હજાર થેલીનું વેચાણ કરવામાં પણ ખેડૂતોને પ્રતિ કિલો રૂા. એકથી ચાર સુધીના ભાવ મળ્યાનો ગણગણાટ શરૂ રહ્યો હતો. બીજી તરફ, ડુંગળીના ભાવ ગગડયા હોવાની જાણ થતાં જે ખેડૂતો તેમની ડુંગળી યાર્ડ સુધી લાવ્યા જ નથી તેમણે તેમના ખેતરમાં ડુંગળીના ઉભા પાક પર ટ્રેકટર ફેરવી દિધું હતું. મહુવા અને તળાજાના ખેડૂતોના જણાવ્યાનુંસાર, ખેતરમાં રહેલી ડુંગળી ખેંચાવાથી લઈ તેના વાહન, પેકિંગ, બારદાન સહિતનો અંદાજિત ખર્ચ એક વિધે એકથી દોઢ હજાર જેટલો થાય છે જેની સામે ડુંગળીના ભાવ જ મળતા ન હોવાથી આ પાક પર ટ્રેકટર ફેરવી નાંખ્યાનો દાવો કર્યો હતો. 

25 વિધા ખેતરમાં ઉભા પાક પર ટ્રેકટર ફેરવ્યું : ખેડૂત 

મહુવાના ઉગલવાણ ગામે રહેતાં ખેડૂત રમેશભાઈએ જણાવ્યું કે, મારા ખેતરમાં ૨૫ વિધામાં ડુંગળી પકવી હતી. એક તરફ માવઠાંની અસર અને બીજ તરફ ડુંગળીના ભાવ તળિયે જતાં તેને યાર્ડ સુધી લઈ જવાનો ખર્ચ વધી જતો હોવાનું જણાયું હતું. જેના કારણે ખેતરમાં ટ્રેકટર ફેરવી પાકનો નાશ કર્યો હતો તેમ અંતમાં ઉમેર્યું હતું.

Tags :