વડોદરાઃ ૧ સપ્ટેમ્બરથી રાજ્યને બદલે કેન્દ્ર સરકારના પોર્ટલ પર જન્મ-મરણની નોંધણી ફરજિયાત કરાતાં ટેકનિકલ ખામીને કારણે વડોદરાની આસપાસના નવ ગામોમાં છેલ્લા દોઢ મહિનાથી નોંધણીનું કામ ઠપ થઇ ગયું છે.
શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પહેલાં રાજ્ય સરકારના ઇ ઓળખ એપ ઉપર જન્મ- મરણની નોંધણી કરવામાં આવતી હતી,પરંતુ ભારત સરકારે તા.૧લી સપ્ટેમ્બરથી સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ(સીઆરએસ) પોર્ટલ અમલમાં મુક્યું છે.
નવા પોર્ટલ માટે તાલીમ પણ આપવામાં આવી છે.પરંતુ કેટલાક સ્થળોએ ટેકનિકલ ખામી સર્જાવાને કારણે ગામોના નામો તેમજ બીજા ડેટા દેખાતા નથી,જેના કારણે નોંધણી થઇ શકતી નથી.
વડોદરા જિલ્લાના દુમાડ,કોયલી, સયાજીપુરા,દશરથ, વાઘોડિયા,પોર અને નંદેસરીના કેટલાક વિસ્તાર,દામાપુરા અને લાલજીપુરામાં નોંધણી થઇ શકતી નહિ હોવાથી ગ્રામજનો ત્રસ્ત થઇ ગયા છે.આ અંગે વડોદરા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પરિણામ મળતું નથી.
આરોગ્ય અધિકારીઆરોગ્ય અધિકારી કહે છે, મેપિંગનો ઇસ્યુ છે,ઉપર વાત ચાલે છે
વડોદરા જિલ્લા પંચાયતના મુખ્ય આરોગ્ય અમલદાર ડો.મીનાક્ષી ચૌહાણ સમક્ષ જન્મ-મરણની નોંધણી અંગે આરોગ્ય સમિતિના ચેરમેન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.તેમણે કહ્યું હતું કે,વડોદરાના દુમાડ,દશરથ અને અન્ય કેટલાક ગામોમાં નવા પોર્ટલમાં મેપિંગનો પ્રોબલેમ છે.અમારી ઉપર રજૂઆતો ચાલુ છે.
આધારકાર્ડમાં સુધારણા માટે જન્મના નવા દાખલા માંગતા હોવાથી પરેશાની
આધારકાર્ડમાં કોઇ પણ સુધારો કરવો હોય તો તેના માટે જન્મનો ભારત સરકારના પોર્ટલ પરનો દાખલો માંગવાનો આગ્રહ રાખવામાં આવતો હોય છે.અનેક ગામોમાં સર્વરની સમસ્યા હોવાથી દાખલા કાઢવામાં મુશ્કેલી પડી રહી છે.જેથી આધારકાર્ડમાં ફેરફાર કરવાની પ્રક્રિયામાં પણ અડચણ પડી રહી છે.


