Gujarat

જન્મ મરણ સર્ટિ.ની નોંધણી હવે ભારત સરકારના પોર્ટલ પર

By GS TEAM
25 Sep 20252 mins read
જન્મ મરણ સર્ટિ.ની નોંધણી હવે ભારત સરકારના પોર્ટલ પર

વડોદરા,વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં તમામ હોસ્પિટલમાં થતા જન્મ, મરણ તથા મૃત જન્મના બનાવ હોસ્પિટલ દ્વારા ઇ-ઓળખ (ગુજરાત સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમમાં) નોંધવામાં આવતા હતા, જે હવે સ્વીચ ઓવર કરવામાં આવેલ છે. તા.૧ સપ્ટે.થી તમામ એન્ટ્રી ભારત સરકારના સીઆરએસ પોર્ટલ (સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ) પર કરાય છે.

વડોદરા કોર્પો.ના ૪૦ અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટરમાં જન્મ, મરણ અને મૃત જન્મ નોંધણી શાખાઓ કાર્યરત છે. ઉપરાંત ૪ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અને ૪ સરકારી હોસ્પિટલ (એસ.એસ.જી, જમનાબાઇ, ગોત્રી તથા ઇ.એસ.આઇ.એસ.) મળી કુલ ૪૮ સેન્ટર પર નોંધણી કરવામાં આવે છે.

તા.૧-૧-૨૦૨૧ થી જન્મ, મરણ અને મૃત જન્મ નોંધણી માટે જે કાર્યપધ્ધતિ હતી તે મુજબ જ નોંધણી કરવાની રહે છે. હોસ્પિટલમાં જન્મ, મરણ અને મૃત જન્મની નોંધણી હોસ્પિટલ દ્વારા કરી જે તે અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટર પરથી વેરિફાઇ કરવાની રહે છે. 

ઘરે જો બનાવ બન્યો હોય તો તેવા કિસ્સામાં ઘરની નજીકના અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટર પરથી નોંધણી કરવી પડશે.

સીઆરએસ પોર્ટલ પર નોંધાયેલા જન્મ, મરણ અને મૃત જન્મના પ્રમાણપત્ર લિંક દ્વારા ઇ-મેલ અને એસએમએસથી મોકલી અપાશે. જે ડાઉનલોડ કરી લેવાના રહેશે. ડાઉનલોડ કરેલું જ ફાઇનલ સર્ટીફીકેટ ગણાશે જેની પ્રમાણિત નકલ માટે અલગથી ફી ભરવાની રહેશે નહિ. પ્રમાણપત્રમાં ક્યુઆર-કોડ સ્કેન કરી વેરિફાઇ કરી શકાશે.

વર્ષ-૧૯૦૧ થી ડીસે-૨૦૨૦ સુધીના જન્મ પ્રમાણપત્રમાં નામ નોંધ, જન્મ-મરણ પ્રમાણપત્રમાં સુધારો, અપ્રાપ્ય પ્રમાણપત્ર જન્મ મરણ નોંધણી શાખા, સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, માંજલપુર, વડોદરા ખાતે કરી શકાશે.