Gujarat

પાલિતાણા ન.પા.માં જન્મ-મરણ શાખાની જોહુકમી, અરજદારોને થતાં ધરમના ધક્કા

By GS TEAM
18 Sep 20251 min read
પાલિતાણા ન.પા.માં જન્મ-મરણ શાખાની જોહુકમી, અરજદારોને થતાં ધરમના ધક્કા

- સોગંદનામા કરવા છતાં જન્મ-મરણના પ્રમાણપત્રોમાં સુધારા કરી દેવાતા નથી

- સુધારા કરાવવા હોય તો નૈવેદ્ય ધરવા પડતા હોવાનો વિપક્ષના નેતાનો આક્ષેપ

પાલિતાણા : પાલિતાણા નગરપાલિકામાં જન્મ-મરણ શાખાના કર્મચારી અને અધિકારી રાજ્ય સરકારના પરિપત્રને નેવે મુકી જોહુકમી ચલાવી અરજદારોને ધરમના ધક્કા ખવડાવે છે. જેના કારણે લોકોના સમય અને નાણાંનો પણ વ્યય થતો હોવાની રાવ સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.

પાલિતાણા ન.પા.માં જન્મ અને મરણના પ્રમાણપત્રોમાં સુધારા કરાવવા આવતા અરજદારો સાથે અશોભનિય વર્તન કરી સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામા કરવા છતાં ખોટી રીતે ધક્કા ખવડાવવા છતાં પણ સુધારા કરી આપવામાં આવતા નથી. આ બાબતે સબંધિત અધિકારીને અગાઉ અનેક વખત રજૂઆત કરવા છતાં પણ હેરાનગતિ અટકતી નથી. જો અરજદારોને પ્રમાણપત્રોમાં સુધારા કરાવવા હોય તો નૈવેદ્ય ધરવા પડે છે. તેમજ સત્તામાં બેઠેલા લોકોના જ કામ થતાં હોવાનો કોંગ્રેસના વિપક્ષના નેતા કે.એસ. સાગઠિયા દ્વારા આક્ષેપ કરી જવાબદાર સામે તાત્કાલિક પગલા ભરવાની માંગણી સાથે પ્રાદેશિક કમિશનરની કચેરી-ભાવનગરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.