Get The App

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ત્રીપલ સવારી બાઇકની આડે રોઝડું ઉતરતાં બાઇક ચાલકનો ભોગ લેવાયો : અન્ય બેને સામાન્ય ઇજા

Updated: Nov 27th, 2025

GS TEAM

Google News
Google News
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ત્રીપલ સવારી બાઇકની આડે રોઝડું ઉતરતાં બાઇક ચાલકનો ભોગ લેવાયો : અન્ય બેને સામાન્ય ઇજા 1 - image

Jamnagar Accident : જામનગર રાજકોટ ધોરી માર્ગ પર અકસ્માતની હારમાળા યથાવત રહી છે, અને ગઈકાલે વધુ એક અકસ્માત સર્જાયો હતો. ધ્રોળ નજીક ત્રીપલ સવારી બાઈકની આડે રોઝડું ઉતરતાં બાઈક સ્લીપ થયું હતું. જેથી તેના ચાલકનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નીપજયું છે, જ્યારે અન્ય બે યુવકોને સામાન્ય ઇજા થઈ છે.

 આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશનો વતની અને હાલ થોરીયાળી ગામમાં એક પટેલ ખેડૂતની વાડીમાં રહીને મજૂરી કામ કરતો કૈલાશભાઈ ગમનસિંહ ભુરીયા નામનો 30 વર્ષનો આદિવાસી યુવાન ગઈકાલે પોતાના બાઈકમાં પોતાના કાકાજી સસરા નરશીભાઈ તથા તેમના શાળાને ત્રિપલ સવારી બાઈકમાં બેસાડીને ધ્રોળમાં મોબાઈલ ફોન લેવા જઈ રહ્યા હતા, તે દરમિયાન રસ્તામાં એક રોજડું આડું ઉતરતાં બાઈક ફંગોળાઈ ગયું હતું, અને તે અકસ્માતમાં બાઈક સવાર કૈલાશ ભુરીયાને ગંભીર ઈજા થવાથી તેનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. જયારે અન્ય બે વ્યક્તિને સામાન્ય ઇજા થઇ છે.

 આ અકસ્માતના બનાવ અંગે મૃતક કૈલાસના ભાઈ ચીમનભાઈ ગમનસિંહ ભુરીયાએ પોલીસને જાણ કરતાં ધ્રોલના પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ.બી.સોઢિયા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી છે.