Gujarat

ઊનાના નાઠેજ પાસે 4 વાહનના અકસ્માતમાં બાઈક ચાલકનું મોત

By GS TEAM
31 Dec 20252 mins read
ઊનાના નાઠેજ પાસે 4 વાહનના અકસ્માતમાં બાઈક ચાલકનું મોત

કારે બાઈક અને બે ટ્રેક્ટરને ટક્કર મારી

મોટા ટ્રેક્ટર સાથે અથડાઈને કાર રોકાઈ ન હોત તો હોટલમાં ઘૂસી જાત, વધુ જાનહાની ટળી

સામતેર: ઊના પંથકના નાઠેજ ગામ પાસે ટ્રિપલ અકસ્માતમાં બાઈકચાલકનું મોત થયું હતું. કાર ચાલકે બાઈક અને બે ટ્રેક્ટરને ટક્કર મારી હતી. મોટા ટ્રેકટર સાથે અથડાઈને હોટેલની સામે જ કાર રોકાઈ જતા સદનસીબે વધુ જાનહાની ટળી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ નાઠેજ ગામ પાસે કારના ચાલકે બાઈક, મીની ટ્રેકટર અને ટ્રેકટરને ટક્કર મારી ટ્રિપલ અકસ્માત સર્જ્યો હતો. જેમાં નાના સમઢીયાળા ગામના ધીરૂભાઈ માંડણભાઈ પરમાર (ઉ.વ.૪૬)ને ગંભીર ઈજા થતા તાત્કાલિક ૧૦૮ મારફત હોસ્પિટલે સારવારમાં લઈ જવાતા તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. અકસ્માતની ઘટનાને પગલે રોડ પરથી પસાર થતા વાહનચાલકો અને લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. અકસ્માતને નજરે જોનાર વ્યક્તિઓના કહેવા મુજબ જો હોટલની નજીક મોટું ટ્રેકટર પડયું ન હોત તો કાર સીધી હોટેલમાં જ ઘુસી જાત. પરંતુ સદનસીબે ટ્રેકટર સાથે અથડાઈને કાર રોકાઈ જતા વધુ જાનહાની ટળી હતી. અકસ્માત સર્જનાર કાર ચાલક ગણેશકુમાર પી.એસ. મૂળ કર્ણાટકના બેંગ્લોરના વતની છે અને હાલ છેલ્લા ત્રણ વર્ષથી મુંબઈના કાંદીવલી રહી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેે પરિવાર સાથે દ્વારકા અને સોમનાથના દર્શન કરી પરત જઈ રહ્યા હતા. ચાલક અને કારમાં બેસેલાઓને કોઈપણ પ્રકારની ઈજા થઈ ન હતી. આ બનાવમાં પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.