વડોદરાની નરસિંહજી પોળમાં જર્જરિત મકાન ધરાશાયી, બાઈક દબાઈ, જાનહાની થતા રહી ગઈ
Vadodara : વડોદરાનો ઐતિહાસિક વરઘોડો જ્યાંથી નીકળે છે તે નરસિંહજીની પોળમાં આજે એક મકાન ધરાશાયી થઈ જતા ગભરાટ ફેલાયો હતો.
શહેરના ચાર દરવાજા વિસ્તારમાં અનેક જર્જરિત મકાનો જોખમી બન્યા છે અને અવારનવાર વરસાદ વખતે મકાન તૂટવાના બનાવ બની રહ્યા છે ત્યારે આજે વધુ એક બનાવ બનતા જાનહાની થતા રહી ગઈ હતી.
નરસિંહજીની પોળમાં આવેલા બે માળના જર્જરિત મકાનને અગાઉ કોર્પોરેશન દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી. પરંતુ તેમ છતાં કોઈ કાર્યવાહી નહીં થતા આજે બપોરે મકાનની આગળનો ભાગ ધડાકાભેર તૂટી પડ્યો હતો.
સતત અવરજવર વાળા ઉપરોક્ત વિસ્તારમાં મકાન તૂટ્યું તારે કોઈ વ્યક્તિ પસાર થતી નહીં હોવાથી જાનહાની થતા રહી ગઈ હતી. પરંતુ નીચે એક મોટરસાયકલ પાર્ક કરેલી હતી તે કાટમાળમાં દબાઈ જતા ફાયર બ્રિગેડ દ્વારા તેને બહાર કાઢવાની કાર્યવાહી કરવામાં આવી છે.