વિદ્યાસહાયકની ભરતી સમાચાર: આજે જાહેર કરાશે કામચલાઉ મેરિટની યાદી, અહીં ચેક કરો
Teacher Recruitment Provisional merit list News : વિદ્યાસહાયકની ભરતીને લઈને મહત્ત્વની અપડેટ સામે આવી છે. રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1થી 5ની 5000 જગ્યાઓ, ધોરણ 6થી 8ની 7000 જગ્યાઓ અને અન્ય માધ્યમની 1852 જગ્યાઓ એમ કુલ 13852 જગ્યાઓ ભરવા વિધાસહાયક ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેની કામચલાઉ મેરિટ યાદી આજે બપોરે 3:30 વાગે પ્રસિદ્ધ કરવામાં આવશે. આ કામ ચલાઉ યાદી https://vsb.dpegujarat.in પર પ્રસિદ્ધ કરવામાં આવશે.
રાજ્ય કેબિનેટમાં આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક મંત્રી ડૉ. કુબેર ડિંડોરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે રાજ્યમાં વિદ્યાસહાયક ભરતીની કામચલાઉ મેરિટ યાદી 20 ફેબ્રુઆરીના રોજ બપોરે 3.30 કલાકે https://vsb.dpegujarat.in પર પ્રસિદ્ધ કરવામાં આવશે તો ઉમેદવારો નોંધ લઈ વેબસાઇટની મુલાકાત લે અને કામચલાઉ યાદી જોઈ શકે છે.
4,000 ઉચ્ચર માધ્યમિક શિક્ષકોની ભરતી કરાશે
ઉચ્ચર માધ્યમિક એટલે કે ઘોરણ 11 અને ઘોરણ 12માં સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટ-ઇન–એડ શાળામાં 3,250 એમ મળીને TAT-Higher Secondaryના કુલ 4,000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે.
ગુજરાતમાં ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરી હોય તેવા ઉમેદવારની ભરતી કરવાની જગ્યાએ સરકારે જ્ઞાન સહાયકોની ભરતી કરવાનો નિર્ણય કરતાં રાજ્યમાં 3.83 ઉમેદવારો બેકાર બેઠા છે. રાજ્યમાં શિક્ષકોની ભરતી કરવાની માગણી સાથે તેઓ એકાંતરે આંદોલન કરી રહ્યા હોવા છતાં સરકાર તેમની માગણીઓને સ્વિકારી રહી ન હતી. આ ઉમેદવારોની ભરતી નહીં થતાં તેમની વયમર્યાદાનો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે.
2023માં એકપણ ઉમેદવારની સરકારી કે ગ્રાન્ડેટ પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં ભરતી થઈ નથી
રાજ્ય વિધાનસભામાં શિક્ષણ મંત્રીએ કબૂલ કર્યું હતું કે ટેટ-1 પાસ 39395 એને ટેટ-2 પાસ 235956 ઉમેદવારો છે. એ ઉપરાંત માધ્યમિકમાં ટાટ 75328, માધ્યમિક દ્વિસ્તરીય ટાટ 28307 અને ઉચ્ચતર માધ્યમિક દ્વિસ્તરીય 15253 ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી છે. આમ કુલ 3.83 લાખથી વધુ ઉમેદવારોએ શિક્ષક બનવા યોગ્ય પરીક્ષાઓ પસાર કરી છે. આ સ્થિતિમાં છેલ્લા બે વર્ષમાં કેટલા ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે તેવા પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે 2022માં ટેટ-1 પાસ થયેલા 2300 અને ટેટ-2 પાસ થયેલા 3378 ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે, જ્યારે માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિકમાં કોઈ ભરતી થયેલી નથી. એવી જ રીતે 2023માં પણ એકપણ ઉમેદવારની સરકારી કે ગ્રાન્ડેટ પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં ભરતી થઈ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોની જગ્યાએ શિક્ષણ વિભાગે માધ્યમિક વિભાગમાં 5985 જગ્યાઓ ભરવા માટે 4138 ઉમેદવારોને જ્ઞાન સહાયકની નિમણૂક આપી છે. જ્ઞાન સહાયકમાં માસિક વેતનના પ્રશ્નના જવાબમાં મંત્રીએ કહ્યું હતું કે માધ્યમિકમાં જ્ઞાન સહાયકને પ્રતિ માસ મહિને 24000 રૂપિયાનું મહેનતાણું આપવામાં આવે છે. શિક્ષણ વિભાગે આ નિમણૂકો નવેમ્બર 2023માં આપી હતી અને તેમને વેતન ચૂકવી દેવામાં આવ્યું છે. માસિક વેતન સમયસર મળતું નહીં હોવાનો આક્ષેપ સરકારે ફગાવી દીધો હતો.