પ્રજાના પ્રશ્નો, આંદોલનોના નિરાકરણ માટે ભૂપેન્દ્ર પટેલ સરકારે 5 મંત્રીઓની કમિટિ રચી
- વિવિધ કર્મચારી યુનિયન અને વર્ગોના આંદોલનોથી ચિંતિત બનેલી સરકાર એક્શનમાં
ગાંધીનગર, તા. 29 ઓગષ્ટ 2022, સોમવાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વિવિધ આંદોલનો સરકાર અને ભાજપ માટે સમસ્યારૂપ ન બને તે માટે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર એક્શનમાં આવી ગઈ છે. વિવિધ સરકારી કર્મચારીઓના સંગઠનોની માગણીઓ, પે-ગ્રેડ, કિસાન આંદોલન, એલઆરડી ઉમેદવાર આંદોલન, આરોગ્ય કર્મચારીઓના આંદોલન વગેરેના ઉકેલ માટે 5 મંત્રીઓની કમિટિ રચવામાં આવી છે.
રાજ્યમાં વારંવાર વિવિધ માગણીને લઈને અલગ-અલગ કર્મચારી યુનિયન, પૂર્વ સૈનિકો, આરોગ્ય કર્મચારીઓ આંદોલન પર ઉતરી આવે છે જેના કારણે સરકારની ચિંતા વધતી હોય છે.
આ મંત્રીઓને મળ્યું સ્થાન
આ કારણે સરકારે રાજ્યકક્ષાના જીતુ વાઘાણી, કનુ દેસાઈ, હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ અને બ્રિજેશ મેરજા એમ કુલ 5 મંત્રીઓની એક કમિટિ રચી છે. આ કમિટિ વિવિધ આંદોલનકારીઓને શાંત પાડીને સરકારની સમસ્યાના સમાધાન શોધવા પ્રયત્નો કરશે. તેઓ પ્રજાના પ્રશ્નોનું ત્વરિત સમાધાન શોધવા પ્રયત્નો કરશે.
ઉલ્લેખનીય છે કે, એક તરફ ચૂંટણી પૂર્વે રાજ્યમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સક્રિય બનીને થોડા થોડા દિવસે નવી નવી ગેરન્ટીઓ આપીને ગુજરાતમાં દિલ્હી મોડેલ અપનાવવાના વાયદાઓ આપી રહ્યા છે. ઉપરાંત કોંગ્રેસ પણ મેદાનમાં આવવા લાગી છે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 5 મંત્રીઓની કમિટિ રચીને પ્રજાના પ્રશ્નો ઉકેલવા સક્રિયતા દાખવી છે.