ભીમ અગિયારસે અમરેલી,જુનાગઢ જિલ્લા,ગોંડલમાં શૂકનવંતો વરસાદ
ચોમાસુ તો 12 દિવસથી આગળ વધતું અટકી ગયું છે ત્યારે કુંકાવાવ વડિયામાં દોઢ ઈંચ, ખાંભા, લીલીયામાં પણ વરસાદ, વિસાવદરના બે ગામોમાં બે ઈંચ, ગોંડલમાં ધોધમાર એક ઈંચ વરસાદ
રાજકોટ, : સૌરાષ્ટ્રમાં આજે ભીમ અગિયારસ અને આગામી અષાઢી બીજના દિવસે વરસાદ વરસે તેને શૂકનિયાળ મનાતો રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્રમાં વરસાદના ઝાપટાં પણ બંધ થયા છે ત્યારે આજે અગિયારસના દિવસે મેઘરાજાએ શૂકન સાચવ્યું હતું અને અમરેલી,જુનાગઢ જિલ્લામાં ઝાપટાંથી ધોધમાર તેમજ ગોંડલમાં એક ઈંચ વરસાદ વરસી ગયો હતો. ગોંડલમાં આજે અચાનક હવામાન પલટાયું અને ગાજવીજ અને તીવ્ર પવન સાથે એક ઈંચ વરસાદ વરસી ગયો હતો. રાજમાર્ગો પર નદીની જેમ પાણી વહેવા લાગ્યા હતા અને હવામાનમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
કુંકાવાવ વડીયામાં દોઢ ઈંચ વરસાદથી વડીયાના માર્ગો પાણી પાણી થયા હતા ઉપરાંત અમરેલી જિલ્લાથી અહેવાલો મૂજબ ખાંભા વડીયા ધારી વિસ્તારમાં શૂકન સાચવતા મેઘરાજા વરસી પડયા હતા અને માર્ગો પર પાણી વહેતા થયા હતા. ધારી પંથકમાં વોકળા વહેતા થયા હતા. દલખાણીયા,ગીગાસણ બોરડીઉપરાંત તોરી રામપુર, હનુમાન ખીજડીયા સહિત અનેક ગામોમાં વરસાદ વરસ્યો છે. ખાંભા પંથકમાં ખડાધાર,ચાતુરી,પીપળવા, બોરાલા, ભાવરડી જેવા ગામોમાં વાવણી લાયક વરસાદ વરસી ગયો હતો. આજે ત્રીસ મિનિટ સુધી ગ્રામજનો માટે આશ્ચર્ય અને આનંદદાયક વરસાદ વરસ્યો હતો. લીલીયા તાલુકામાં પણ મેઘરાજાએ શૂકન સાચવીને ઝાપટાં વરસાવતા ખાબોચિયા ભરાયા હતા અને વિજપૂરવઠો થોડો સમય ખોરવાયો હતો. વિસાવદર તાલુકાના રાવનીકુબા, વેકરીયા પંથકમાં ધોધમાર બેથી અઢી ઈંચ વરસાદના વાવડ મળ્યા છે. જ્યારે ભેંસાણ પંથકમાં પણ અડધો ઈંચ અને જુનાગઢમાં અમી છાંટણા વરસ્યા હતા. જ્યારે ભાવનગરના ગારિયાધર,બાબરા પંથકમાં પણ ઝાપટાં વરસ્યા છે.
મૌસમ વિભાગ અનુસાર આજે રાજકોટ,કંડલા,સુરેન્દ્રનગર, અમદાવાદમાં 41 સે. અને અમરેલી, ડીસા, ગાંધીનગર, ભૂજ સહિત સ્થળે 40 સે.તાપમાને અસહ્ય બફારો અનુભવાયો હતો. નૈઋત્યનું ચોમાસુ ગત તા.26થી મુંબઈ પાસે આવીને અટકેલું છે અને આગળ વધવાના હાલ કોઈ સંજોગો જણાતા નથી ત્યારે આજે છૂટાછવાયા હળવા-ભારે વરસાદથી ભીમ અગિયારસનું શૂકન સચવાયાનો હરખ છવાયો હતો.