હવેથી જૂનાગઢનું ભવનાથ મંદિર વહીવટદાર શાસન હેઠળ, મહંત હરિગિરી બાપુની મુદત આજે પૂર્ણ
Junagadh News : જૂનાગઢના ભવનાથ મહાદેવ મંદિરના મહંત તરીકે બે વર્ષ પહેલા જિલ્લા કલેક્ટરે હરિગિરી બાપુને નિમણૂક કર્યા હતા. જોકે, છેલ્લા ઘણાં સમયથી ચાલી રહેલા વિવાદ વચ્ચે પ્રાંત અધિકારીને મંદિરના વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, ભવનાથ મંદિરને લઈને તમામ પ્રકારની પ્રક્રિયા હવે વહીવટદાર હેઠળ રહેશે. જ્યારે મંદિરના પૂજારી અને મેનેજરને લઈને કોઈ પ્રકારે ફેરફાર કરવામાં આવ્યો ન હોવાનું પ્રાંત અધિકારીએ જણાવ્યું છે.
જૂનાગઢનું ભવનાથ મંદિર વહીવટદાર શાસન હેઠળ
મળતી માહિતી મુજબ, ભવનાથ મંદિરના મહંત હરિગિરી બાપુની અવધિ આજે 31 જુલાઈ 2025ના રોજ પૂર્ણ થઈ રહી છે, ત્યારે વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણૂક કરાઈ હોવાનું જણાય છે. જેઓ આવતીકાલે શુક્રવારે (1 ઑગસ્ટ) ચાર્જ સંભાળી શકે છે.
જ્યારે વહીવટદાર શાસન હેઠળ પ્રેમ ગીરીભવન પણ આવી ગયું છે, ત્યારે મંદિરને ખાલી કરવાની નોટિસ ફટકારવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તમને જણાવી દઈએ કે, આજે (31 જુલાઈ) સાંજે ભવનાથ મહાદેવ મંદિર ખાતે પ્રાંત અધિકારીએ મામલતદાર, ના.મામલતદાર, ક્લાર્ક સહિતની ટીમને હાજર રહેવા જણાવ્યું છે.
આ પણ વાંચો: વડોદરા કોર્પોરેશન સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસીનો અમલ કરે તેવી માગણી સાથે કોંગ્રેસનો દેખાવો
બીજી તરફ, ભવનાથની જગ્યામાં મ.ન.પા.ની મંજૂરી વગર પાંચ માળનું મોટું ગેસ્ટહાઉસ બનાવી નાખી તેનો ભવનાથ મંદિર ટ્રસ્ટમાં ઉલ્લેખ કરવામાં પણ ન આવ્યો, આ ઉપરાંત હરિગિરીને ગત વખતે ત્રણ વર્ષ માટે રિપીટ કર્યા હતી, ત્યારે તેમની મુદ્દત પૂર્ણ થાય તેના ચાર માસ પહેલા તત્કાલીન કલેક્ટર રચિત રાજે મહંત તરીકે નિમણૂક કરી નાખી હતી. આ અંગેની ઉચ્ચકક્ષાએ ફરિયાદો થઈ છે. હવે આ તમામ ઘટનાક્રમ વચ્ચે આજે મહંત હરિગિરીની મુદ્દત પૂર્ણ થઈ જાય છે. નવા મહંતની નિમણૂક માટેની કોઈ પ્રક્રિયા કરવામાં આવી નથી. જેમાં ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે જૂનાગઢના પ્રાંત અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. ભવનાથમાં કદાચ પ્રથમવાર જ સાધુને બદલે વહીવટદારની નિમણૂક થઈ છે. આમ, ભવનાથ મંદિરના મહંતને લઈને જે ચર્ચાઓ ચાલી રહી હતી તેના પર તંત્રએ પૂર્ણવિરામ મૂકી દીધું છે.