Bhavnagar Youth Walk for Earth: આજકાલ હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડવા જબરદસ્ત હોર્સ પાવરના વાહનો ઉપલબ્ધ છે. જો કે, ભાવનગરના જયદીપ લાખણકિયાએ વ્હિલ નહીં, પરંતુ વિલપાવરના જોરે એક અનોખી સાહસયાત્રા શરૂ કરી છે. આ અનોખી યાત્રાનો હેતુ છે ક્લાઈમેટ ચેન્જ. હા, ક્લાઈમેટ ચેન્જની સમસ્યાના ઉકેલરૂપે તે પર્યાવરણની જાળવણીનો સંદેશ આપવા 20 દેશની 12 હજાર કિ.મી.ની પગપાળા યાત્રાએ નીકળ્યો છે. ‘વૉક ફોર અર્થ’ અભિયાન હેઠળ શરૂ કરાયેલી આ અનોખી સફર દ્વારા તેઓ વિશ્વભરમાં પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવી લોકોમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારીનો સંદેશ પહોંચાડી રહ્યા છે. ત્યારે જયદીપે ગુજરાત સમાચાર ડિજિટલ સાથે તેમના આ અનોખા પ્રયાસ વિશે વિગતવાર વાત કરી હતી. જે અમે અહીં રજૂ કરીએ છીએ.

હોટલ મેનેજમેન્ટ છોડીને શરૂ કર્યો પ્રવાસ
જયદીપ માત્ર 32 દિવસમાં 1200 કિ.મી.નો પ્રવાસ ખેડી ચૂક્યો છે. હાલ તે માલ્ટાથી ઈટાલી પહોંચી ગયો છે. ઈટાલીમાં ભારતીયો તેને રહેવા જમવા સહિતની મદદ કરી રહ્યા છે. આ સાથે જ અત્યારે ઈટાલીમાં જયદીપને વરસાદનું વિઘ્ન નડી રહ્યું છે, વરસાદ રોકાયા બાદ તે ધીમે ધીમે તેની યાત્રા આગળ વધારી રહ્યો છે. આ અંગે વાત કરતા જયદીપ કહે છે કે, હું ભારતમાં હોટલ મેનેજમેન્ટ ભણ્યો છું અને ત્યારબાદ આગળ ભણવા માટે મને માલ્ટા જવાની તક મળી. માલ્ટામાં અભ્યાસ કરતી વખતે જ મને ક્લાઈમેટ ચેન્જ વિશે જાણવાનો મોકો મળ્યો. ત્યારબાદ હું 26 દિવસ માટે ગ્રીસના યુથ ફેસ્ટિવલમાં ગેસ્ટ તરીકે ગયો હતો, જ્યાં ઘણાં લોકોને મળ્યો અને પર્યાવરણ વિશે ઘણું શીખ્યો. ત્યારથી મારા આ મિશનની શરૂઆત થઈ. હું માંડ 1200 લોકોની વસ્તી ધરાવતા એક નાના ગામડામાંથી આવું છું, અને ત્યાંથી નીકળીને યુરોપના દેશોના વડાપ્રધાન, પર્યાવરણ મંત્રીઓ, વિવિધ NGO અને વિશ્વના ટોચના એથલીટ્સ સુધી મારી વાત પહોંચાડવી એ મારા માટે બહુ મોટી વાત છે. મને વિદ્યાર્થીઓના મેસેજ આવે છે કે, અમે તમારો વીડિયો જોઈને સફાઈ અભિયાન શરૂ કર્યું છે, ત્યારે મને ઘણો સંતોષ થાય છે. આ યાત્રા દરમિયાન મને શારીરિક અને માનસિક રીતે કેવું અનુભવાય છે તેની ડોક્યુમેન્ટરી બનાવીને યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર પણ અપલોડ કરવાનું વિચારી રહ્યો છું.

જયદીપનો છ સભ્યોનો પરિવાર સુરતમાં સેટલ
મારા પગપાળા પ્રવાસ વિશે જણાવું તો, હું આ યાત્રામાં એકલો જ ચાલુ છું. મારું લક્ષ્ય રોજના 30થી 35 કિલોમીટર ચાલવાનો હોય છે અને અઠવાડિયામાં 6 દિવસ ચાલીને સરેરાશ 180 કિલોમીટર કાપું છું. હું મૂળ ભાવનગરનો છું પણ 2015થી મારો 6 સભ્યનો પરિવાર સુરતમાં રહે છે, જેમાં મારા મમ્મી-પપ્પા, બે મોટી બહેન અને એક નાનો ભાઈ છે. મારા પપ્પા સાડીના ખાતામાં સુપરવિઝનનું કામ કરે છે અને બહેનો સાડી બનાવે છે. ફિટનેસની વાત કરું તો મેં યાત્રાના એક મહિના પહેલાથી જ રોજ 10-15 કિ.મી. ચાલવાની પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી. માનસિક રીતે હું એટલા માટે મજબૂત છું કારણ કે મારી પાસે આ પ્રવાસ પાછળનું એક બહુ મજબૂત હેતુ છે. વળી, હું સર્ટિફાઇડ ટ્રેકિંગ અને કાયકિંગ ઇન્સ્ટ્રક્ટર રહી ચૂક્યો હોવાથી ચાલવું અને એડવેન્ચર મારા માટે સામાન્ય માણસ કરતાં થોડું સરળ છે.
વિદેશ સ્થિત ગુજરાતીઓએ પણ આપ્યો સહકાર
મને માલ્ટામાં ખૂબ જ સારો સપોર્ટ મળ્યો છે, ત્યાંના વડાપ્રધાનના હસ્તે જ મારી યાત્રાની ફ્લેગ-ઓફ સેરેમની થઈ હતી. ત્યાંના એથલીટ્સ, NGO અને ખાસ કરીને ગુજરાતી અને ઇન્ડિયન કમ્યુનિટીએ મને ઘણો ટેકો આપ્યો છે. અત્યારે હું ઈટલીમાં છું જ્યાં લેંગ્વેજ બેરિયર હોવા છતાં લોકો મને રહેવા અને જમવાની વ્યવસ્થા કરી આપે છે. હું યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે જોડાઈને ક્લાઈમેટ ચેન્જ વિશે વાત કરું છું. મારી સાથે અનેક સફાઈ અભિયાનમાં પણ તેમનો મને સાથ મળ્યો છે.
શાકાહારી હોવાથી ફ્રૂટ્સ-નટ્સ પર નિર્ભર
આ પ્રવાસ વખતે લોકો મારા ડાયટ અંગે પણ સવાલો કરે છે. સૌથી મોટી સમસ્યા એ છે કે હું સંપૂર્ણ શાકાહારી છું અને ઈંડા પણ નથી ખાતો. હું જે દેશોમાંથી પસાર થવાનો છું તે મોટા ભાગે નોનવેજ માટે પ્રખ્યાત છે. જેમ કે ઈટાલીમાં શાકાહારી ભોજનમાં માત્ર માર્ગારિટા પિત્ઝા કે પાસ્તા જ મળે છે, પણ ઘણીવાર ઇન્ડિયન લોકો કે રેસ્ટોરન્ટ માલિકો મને ખાસ શાકાહારી ભોજન બનાવી આપે છે. બાકી હું ફ્રૂટ્સ અને નટ્સ પર વધારે નિર્ભર રહું છું અને જે મળે તે ખાઈ લઉં છું. ઠંડી હોવા છતાં હું દિવસનું 3થી 4 લિટર પાણી પીવા પર ખાસ ધ્યાન આપું છું.
યુદ્ધના કારણે પ્લાન બી પણ તૈયાર રાખ્યો છે
રૂટ અને સેફ્ટીની વાત કરીએ તો, મેં આ જર્ની પ્લાન કરી ત્યારે ઈરાન યુદ્ધ નહોતું અને અને પાકિસ્તાન-અફઘાનિસ્તાનમાં પણ સ્થિરતા હતી, જે હવે થોડી ચિંતાનો વિષય છે. મેં ઈરાન દૂતાવાસ સાથે વાત કરી છે, જો વિઝા મળશે તો ત્યાંથી જઈશ, નહીંતર પ્લાન બી મુજબ ગલ્ફ દેશો અથવા કઝાકિસ્તાન-ઉઝબેકિસ્તાન થઈને ચીન તરફથી મારો રૂટ બદલીશ. પાકિસ્તાનના વિઝા મળવા થોડા અઘરા છે, પણ જો હું 18 દેશ ચાલીને પાર કરીશ તો એ સાબિત થશે કે આ એક વિશેષ મિશન છે અને કદાચ મને વિઝા મળી જાય. મેં વિવિધ દેશોમાં જવા માટે ત્યાંની ભાષાના અમુક શબ્દો શીખવાની તૈયારી કરી છે અને અગાઉથી જ દરેક દેશના દૂતાવાસ અને ભારતીય દૂતાવાસોને મેઇલ કરીને મારી યાત્રાની જાણ કરી દીધી છે, જેના મને પોઝિટિવ રિસ્પોન્સ પણ મળ્યા છે.

ભારતની નદીઓની સફાઈનું લક્ષ્ય
ભારત પહોંચું ત્યારે, મારા મુખ્ય બે લક્ષ્ય છે, એક તો ભારતમાં નદીઓ અને અન્ય સ્થળોએ સફાઈ અભિયાન કરવું કારણ કે, વિદેશમાં ભારતની ઈમેજ બહુ ગંદા દેશ તરીકેની છે, જેનાથી ટુરિઝમને નુકસાન થાય છે. બીજું મારે સ્કૂલ, કોલેજ અને NGO સાથે મળીને એન્વાયર્મેન્ટ એજ્યુકેશન પર કામ કરવું છે. મારી આ યાત્રાનો રૂટ પ્રાચીન સિલ્ક રૂટ પર આધારિત છે, જેના વિશે મેં પુસ્તકોમાં વાંચ્યું હતું. હું મોટા ભાગના દેશોની રાજધાનીમાંથી પસાર થઈને નવી દિલ્હીમાં મારી યાત્રા પૂર્ણ કરીશ. ત્યારબાદ હું દ્વારકાધીશમાં માનતો હોવાથી ચાલીને કે સાયકલ લઈને દ્વારકા પણ જઈશ. બસ એ જ પ્રાર્થના છે કે યુવાનો પર્યાવરણ વિશે જાગૃત થાય અને આપણે ગરીબ લોકો, ખેડૂતો અને ખાસ કરીને પશુ-પક્ષીઓ માટે કંઈક કામ કરી શકીએ.
કોઈ મોટી કંપનીની સ્પોન્સરશિપ નથી લીધી
આ યાત્રામાં સૌથી મોટો પ્રોબ્લેમ બજેટનો છે. હું એવી કોઈ મોટી કંપનીઓ પાસેથી સ્પોન્સરશિપ લેવા નથી માંગતો જેમણે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યું હોય. મારી પાસે બહુ સેવિંગ્સ નથી, પણ માલ્ટામાં ભારતીય અને ગુજરાતી કમ્યુનિટીએ મને આર્થિક મદદ કરી છે અને બાકીનો ખર્ચ હું ક્રાઉડ ફંડિંગ દ્વારા ભેગો કરી રહ્યો છું. કરિયર વિશે મારું સ્પષ્ટ માનવું છે કે અત્યારે તેની વ્યાખ્યા બદલવાની બહુ જરૂર છે. અત્યારે લોકો લાખો-કરોડોની કમાણીને જ કરિયર માને છે, જેમાં પૃથ્વીના રિસોર્સિસનો વિનાશ છુપાયેલો છે. મને એવું લાગે છે કે કારકિર્દી, ધર્મ કે અન્ય કોઈ પણ બાબત કરતાં અત્યારે પૃથ્વીને બચાવવી વધારે મહત્ત્વની છે કારણ કે, જો પૃથ્વી જ નહીં રહે તો બાકીના પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ કરીશું!


