બાઈક સ્લીપ થતાં ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખના પતિનું મોત નીપજ્યું
મૃતક ચાર ટર્મ સણોસરા બેઠક પરથી જિ.પં. સભ્ય રહી ચૂક્યા છે
વાહને ટલ્લો માર્યાની પરિવારની આશંકામાં પોલીસને સ્થળ પર પૂરાવા ન મળ્યા : સદ્દગતની અંતિમયાત્રામાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા
બનાવની પ્રાથમિક વિગત એવી છે કે, ભાવનગર જિ.પં.ના પ્રખુખ રૈયાબેન મિયાણીના પતિ મુળજીભાઈ વિરજીભાઈ મિયાણી( ઉ.વ.૬૫) ગત રાત્રિએ ભાવનગર-રોજકોટ હાઈ-વે પર સણોસરા-ગઢુલા વચ્ચે આવેલી પોતાની હોટલથી બાઈક લઈને ઘરે પરત ફરતા હતા. ત્યારે ગઢુલા નજીક તેમનું હિરોહોન્ડા મોટરસાયકલ સ્લીપ થઈ ગયું હતું. જેના કારણે મુળજીભાઈને માથા, ચહેરા તથા શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજા પહોંચી હતી. જેમને ગંભીર હાલતે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સિહોર સ્થિત સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ તરફ બનાવની જાણ થતાં રાજકીય અને સામાજિક આગેવાનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. જયારે, મોડીરાત્રે બનેલાં આ બનાવને લઈ મિયાણી પરિવાર પર આભ તૂટી પડયું હતું.બનાવને લઈ મૃતકના ભાઈ મગનભાઈ મિયાણીએ સોનગઢ પોલીસ સ્ટેશનમાં બાઈક સ્લીપ થવાથી તેમના ભાઈ મુળજીભાઈ મિયાણીનું મોત થયાની નોંધ કરાવી હતી. તેમણે આ તકે, અજાણ્યા વાહને તેમને ટલ્લો માર્યાની આશંકા પણ વ્યક્ત કરી હતી. જેના આધારે સોનગઢ પીઆઈ સોંલકીએ ઘટના સ્થળે જઈ તપાસ કરી હતી. જો કે, મૃતકનું અજાણ્યા વાહનની અડફેટે મોત થયાના પૂરાવા ન મળતાં હાલ અકસ્માતે મોતની નોંધ કરી તપાસ શરૂ કરી હોવાનું જણાવ્યું હતું.
આજે બપોરે સદ્દગતની અંતિમયાત્રા નિકળી હતી. જેમાં પણ રાજકીય-સામાજિક આગેવાનો, જિ.પં.ના સભ્યો તથા વિશાળ સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. ઉલ્લેખનિય છે કે, મૃતક ચાર ટર્મ સુધી સણોસરા બેઠક પર જિ.પં.સભ્ય રહી ચૂક્યા છે. ઉપરાંત તેઓ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ઉપરાંત જિલ્લા ભાજપ સંગઠનના પણ વિવિધ જવાબદારીઓ સંભાળી હતી.