Gujarat

ભાવનગર ત્રિપલ મર્ડર કેસ: ACF શૈલેષ ખાંભલા નાર્કો ટેસ્ટની ના પાડી કોર્ટમાં રડી પડ્યો, પોલીસ એન્કાઉન્ટરનો ડર વ્યક્ત કર્યો

By GS TEAM
10 Dec 20252 mins read
TukuTouch Logo
ભાવનગરમાં પોતાની જ પત્ની અને માસૂમ સંતાનોની હત્યાના આરોપસર પકડાયેલા આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (ACF) શૈલેષ ખાંભલાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ કેસમાં તપાસ આગળ વધારવા માટે પોલીસ દ્વારા આરોપીના નાર્કો ટેસ્ટની માંગ કરવામાં આવી હતી, પરંતુ આરોપીએ કોર્ટ સમક્ષ ટેસ્ટ કરાવવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગર ત્રિપલ મર્ડર કેસ: ACF શૈલેષ ખાંભલા નાર્કો ટેસ્ટની ના પાડી કોર્ટમાં રડી પડ્યો, પોલીસ એન્કાઉન્ટરનો ડર વ્યક્ત કર્યો

Bhavnagar Triple Murder Case: ભાવનગરમાં પોતાની જ પત્ની અને માસૂમ સંતાનોની હત્યાના આરોપસર પકડાયેલા આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (ACF) શૈલેષ ખાંભલાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ કેસમાં તપાસ આગળ વધારવા માટે પોલીસ દ્વારા આરોપીના નાર્કો ટેસ્ટની માંગ કરવામાં આવી હતી, પરંતુ આરોપીએ કોર્ટ સમક્ષ ટેસ્ટ કરાવવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે.

કોર્ટ રૂમમાં ડ્રામા: આરોપી ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો 

આજે જ્યારે શૈલેષ ખાંભલાને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો ત્યારે કોર્ટરૂમમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો. જજ સમક્ષ રજૂ થતાં જ આરોપી ભાંગી પડ્યો હતો અને રડવા લાગ્યો હતો. તેણે કોર્ટને જણાવ્યું હતું કે તે કોઈપણ સંજોગોમાં નાર્કો ટેસ્ટ કરાવવા માંગતો નથી. ઉલ્લેખનીય છે કે, કાયદાકીય પ્રક્રિયા મુજબ આરોપીની સંમતિ વિના નાર્કો ટેસ્ટ કરી શકાતો નથી.

પોલીસ પર ગંભીર આક્ષેપો: 'મારું એન્કાઉન્ટર થઈ જશે' 

નાર્કો ટેસ્ટના ઇન્કારની સાથે જ આરોપી શૈલેષ ખાંભલાએ પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેણે જજ સમક્ષ ડર વ્યક્ત કરતા કહ્યું હતું કે, 'સાહેબ, મારો જીવ જોખમમાં છે. મને ડર છે કે પોલીસ મારું એન્કાઉન્ટર કરી નાખશે.' તેણે હતાશામાં આવીને પોતે મરી જવાની વાત પણ કોર્ટ સમક્ષ ઉચ્ચારી હતી.

આરોપી દ્વારા નાર્કો ટેસ્ટ માટે સંમતિ ન આપવામાં આવતા અને એન્કાઉન્ટરના ડરની રજૂઆતો બાદ અંતે કોર્ટે નાર્કો ટેસ્ટ કર્યા વિના જ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કરાતા તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે. આ ઘટનાએ ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવી છે, અને હવે પોલીસ તપાસ કઈ દિશામાં આગળ વધે છે તેના પર સૌની નજર છે.

શું હતો સમગ્ર મામલો? 

ભાવનગરના તળાજા રોડ પર કાચના મંદિર પાસે આવેલી ફોરેસ્ટ કોલોનીમાં રહેતા તેમજ ભાવનગર વન વિભાગમાં આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાનો પરિવાર એટલે કે પત્ની નયનાબેન શૈલેષભાઈ ખાંભલા (ઉં. 40), પુત્રી પૃથ્વા શૈલેષભાઈ ખાંભલા (ઉં.13 ) અને ભવ્ય શૈલેષભાઈ ખાંભલા (ઉં. 9 ) ત્રણેય સુરતથી વેકેશન ગાળવા માટે ભાવનગર આવ્યા હતા. આ પરિવાર મૂળ સુરતનો વતની છે. 

ભાવનગરમાં રજાઓ ગાળીને તે ત્રણેય 5 નવેમ્બરના રોજ સુરત જવા નીકળ્યા હતા, પરંતુ 7 નવેમ્બરના રોજ શૈલેષ ખાંભલાએ પત્ની અને બાળકો ગુમ થઈ ગયા હોવાની ભરત નગર પોલીસ મથકમાં અરજી આપી હતી. આ અરજીના દસ દિવસ સુધી પોલીસ તંત્ર ફોરેસ્ટ અધિકારીના પત્ની અને બાળકોની શોધખોળ કરી હતી. આ દરમિયાન પોલીસને મેસેજ મળ્યો હતો કે, ફોરેસ્ટ કોલોનીમાં એક અવાવરૂ સ્થળે ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે. અહીં પોલીસે ડોગ સ્ક્વોડની મદદ લીધી હતી અને એક સ્થળે ખોદકામ કરીને તપાસ કરતા ત્રણેયના મૃતદેહ મળી આવ્યા હતા. આ ત્રણેય મૃતદેહ ફોરેસ્ટ અધિકારીના પત્ની, પુત્રી અને પુત્રના જ હતા.