ભરૂચમાં મોટો રાજકીય ભૂકંપ, પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાનું કોંગ્રેસમાંથી રાજીનામું, કહ્યું,-'ટિકિટોની સોદાબાજી થાય છે'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mahesh Vasava Resigns From Congress: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ ભરૂચ જિલ્લાના રાજકારણમાં એક મોટો ગરમાવો આવી ગયો છે. આદિવાસી સમાજના દિગ્ગજ નેતા છોટુ વસાવાના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ કોંગ્રેસ પાર્ટીમાંથી તાત્કાલિક અસરે રાજીનામું આપી દીધું છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં મોટા પાયે આર્થિક સોદાબાજી થઈ હોવાના ગંભીર આક્ષેપો સાથે તેમણે પક્ષને અલવિદા કહી દીધું છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ બીટીપી (BTP) અને ત્યારબાદ ભાજપમાં જોડાયા પછી, ગત જાન્યુઆરી મહિનામાં જ તેઓ સ્થાનિક ચૂંટણીઓ પહેલા કોંગ્રેસમાં સામેલ થયા હતા.
રજૂઆત કરી તો માત્ર આશ્વાસન મળ્યું
મહેશ વસાવાએ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને સંબોધીને મોકલેલા પત્રમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના નેતૃત્વ સામે આક્રોશ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું કે, ચૂંટણી દરમિયાન વાલિયા, નેત્રંગ અને ઝઘડિયા તાલુકા પંચાયતની બેઠકોની ફાળવણી તેમજ મેન્ડેટ આપવાની ગેરરીતિઓ અંગે પ્રદેશ પ્રમુખ અને તેમના નિવાસસ્થાને રૂબરૂ ધ્યાન દોરવામાં આવ્યું હતું. જો કે, તે સમયે માત્ર 'અમે સૂચના આપીએ છીએ' તેવો જ આશ્વાસનભર્યો જવાબ મળ્યો હતો. વસાવાએ ખુલ્લો આક્ષેપ કર્યો છે કે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શેરખાન અબ્દુલ ગની પઠાણ અને અન્ય સ્થાનિક આગેવાનોએ મળીને લાખો રૂપિયા લઈને કોરા મેન્ડેટ (ટિકિટો) વેચ્યા છે.


મોટી સોદાબાજીના કારણે જ કોંગ્રેસને ધાર્યા પરિણામો મળ્યા નથી
પત્રમાં વધુમાં આરોપ કરાયો છે કે, નેત્રંગ, વાલિયા અને ઝઘડિયા તાલુકામાં જાણીજોઈને કોંગ્રેસમાંથી જીતી ન શકે તેવા નબળા ઉમેદવારોને ટિકિટો આપીને આમ આદમી પાર્ટી (AAP) અને ભાજપ (BJP)ના ઉમેદવારોને જીતવામાં મદદ કરવામાં આવી છે. આ મોટી સોદાબાજીના કારણે જ કોંગ્રેસને ધાર્યા પરિણામો મળ્યા નથી. આટલું જ નહીં, નેત્રંગ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના જીતેલા ઉમેદવારે પક્ષની વિચારધારા વિરૂદ્ધ જઈને ભાજપને સત્તા બનાવવા સપોર્ટ કર્યો છે. વસાવાએ સવાલ ઉઠાવ્યો છે કે, કોંગ્રેસના સૌથી મોટા વિરોધી પક્ષ ભાજપને સમર્થન આપવાનું કૃત્ય શું શેરખાન પઠાણના કહેવાથી કરવામાં આવ્યું છે? પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી જ્યાં RSS અને ભાજપ સામે અવાજ ઉઠાવે છે, ત્યાં ગ્રાઉન્ડ લેવલ પર વિરોધીઓ માટે પ્રચાર કરવાની વિપરીત વાસ્તવિકતા સામે આવી છે.
અંતમાં મહેશ વસાવાએ જણાવ્યું છે કે, 'સ્થાનિક સ્તરે થઈ રહેલા 'જુગાડ પ્લાનિંગ'ના કારણે તેઓ કોંગ્રેસ સાથેની પોતાની રાજકીય સફર અહીં જ પૂર્ણ કરે છે. કોંગ્રેસ પક્ષમાં આદિવાસી સમાજના સ્વતંત્ર મુદ્દાઓ આઈડોલોજી માટે કોઈ ચોક્કસ સ્વતંત્રતા જણાતી નથી અને સ્થાનિક લેવલે માત્ર આદિવાસી આગેવાનોનો ઉપયોગ જ કરવામાં આવતો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આદિવાસી હિતોના મુદ્દે પક્ષનું વલણ યોગ્ય ન હોવાથી અને પોતાની વિચારધારા સંગત ન બેસતી હોવાથી, તેઓ કોંગ્રેસ પક્ષ તેમજ આદિવાસી કોંગ્રેસ નેશનલ એડવાઇઝરી કાઉન્સિલ તેમજ ટ્રાયબલ એડવાઇઝરી કાઉન્સિલના સભ્ય પદ પરથી પોતાનું રાજીનામું આપે છે.'









