Gujarat

ભરૂચ : બે પુત્ર અને પત્નીને ચાકુના ઘા ઝીંકી ઠંડા કલેજે હત્યા કરનાર પતિને આજીવન કારાવાસની સજા

By GS TEAM
10 Sep 20252 mins read
TukuTouch Logo
નજીવી રકમની લોન લીધા બાદ હપ્તા ન ભરી શકતા સમગ્ર પરિવારને મોતના મુખમાં ધકેલી પોતે આપઘાતનો પ્રયાસ કર્યો

Summarized by AI; it may make mistakes. Check important info

ભરૂચ : બે પુત્ર અને પત્નીને ચાકુના ઘા ઝીંકી ઠંડા કલેજે હત્યા કરનાર પતિને આજીવન કારાવાસની સજા

Bharuch Court Order : દેવું થઈ જતા બે બાળકો અને પત્નીના ગળા કાપી ઠંડા કલેજે હત્યા કરી આપઘાતનો પ્રયાસ કરનાર પતિને ભરૂચ સેશન્સ કોર્ટે કસૂરવાર ઠેરવી આજીવન કારાવાસની સજા ફટકારતો હુકમ કર્યો હતો. 

ભરૂચના ભોલાવ ખાતે તુલસીધામ શાકમાર્કેટ પાસેના શ્રી રંગકૃપા બંગલોઝમાં રહેતા કોકિલાબેન પટેલના મકાનના નીચેના ભાગે ભાવનગરના રહેવાસી જગદીશભાઈ દેવજીભાઈ સોલંકી ભાડેથી રહેતા હતા. જગદીશભાઈ પાનોલી ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. વર્ષ 2018 દરમ્યાન  કોકીલાબેન પૌત્રીને ટ્યુશન ક્લાસ મુકવા જઈ રહ્યા હતા તે વખતે જગદીશભાઈએ તેમને બૂમો પાડી બોલાવ્યા હતા. ઘરમાં જગદીશભાઈ સાથે  આખો પરિવાર લોહી લુહાણ હાલતમાં હોય પત્ની અને બંને પુત્રોના મોત થયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત જગદીશભાઈને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. ઘરના આગળના રૂમમાં તથા રસોડામાં લોહીથી લથપથ બે ચાકુ મળી આવ્યા હતા. જેથી કોકીલાબેને હત્યાકાંડને અંજામ આપનાર જગદીશ સોલંકી સામે ફરિયાદ નોંધાવતા ભરૂચ સી ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. આ કેસ ભરૂચના પ્રિન્સિપાલ ડી. જજ આર.કે.દેસાઈની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ તરીકે પી. બી. પંડ્યાએ દલીલો કરી હતી. નામદાર કોર્ટે આરોપી જગદીશ સોલંકીને હત્યાના ગુનામાં કસુરવાર ઠેરવી આજીવન કારવાસની સજા ફટકારતો હુકમ કર્યો હતો.

આરોપીએ હત્યાકાંડ માટે પોતે જવાબદાર હોવાનું સ્વીકારી ફાંસીની સજા માંગી 

આરોપીએ ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 313 મુજબના નિવેદનમાં એક પછી એક પોતાના પરિવારના સભ્યોને કેવી રીતે મારી નાખ્યા તેનું વર્ણન કરી ફરિયાદ પક્ષનો કેસ સ્વીકારી ફાંસીની સજાની માંગણી કરી હતી.

આરોપી બચી જતા તે મહત્વનો પુરાવો સાબિત થયો 

સમગ્ર પરિવારને મોતના મુખમાં ધકેલી આરોપીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મેજિસ્ટ્રેટ રૂબરૂમાં આરોપીએ ગુનાને અંજામ આપી પોતાના પરિવારની કત્લેઆમ કરી હોવાની કબુલાત કરી હતી.

બંને પુત્રોને વ્હાલ કર્યા બાદ ગળાના ભાગે ચાકુના ઘા માર્યા 

આરોપીએ નામદાર કોર્ટમાં લેખિત નિવેદન આપ્યું હતું કે, બેંક લોનના હપ્તા ભરપાઈ ન થતા તણાવમાં આવી પરિવારને ખતમ કરવાનું નક્કી કર્યું હતું. પત્ની વંદનાને પાણી આપવાનું કહી તેના ગળા ઉપર ચાકુના ઉપરા છાપરી ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ સાત મહિનાનો પુત્ર વેદાંત અને અઢી વર્ષની પુત્રી રૂપાલીને મનભરી વ્હાલ કર્યા બાદ તેમના ગળાના ભાગે ચાકુના ઘા મારી હત્યા કરી હતી. અને પોતે ગળા તથા હાથના કાંડા પર ચાકુ મારી આપઘાતની કોશિશ કરી હતી.