ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદના પ્રવેશદ્વારે મહાવીર સ્વામીની પ્રતિમા, માહોલ ગરમાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jama Masjid Bharuch: ભરૂચની રાષ્ટ્રીય ધરોહર ગણાતી ઐતિહાસિક જુમ્મા (જામા) મસ્જિદના વર્ષોથી બંધ ભોંયરાનો દરવાજો પુરાતત્વ વિભાગે ખોલીને તપાસ કરતા અંદાજે 700 વર્ષથી બંધ એવા ભોંયરામાંથી 19મા જૈન તીર્થંકર ભગવાન મલ્લિનાથ અને અન્ય જૈન દેવી-દેવતાઓની પૌરાણિક પ્રતિમાઓ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ગરમાવો આવી ગયો છે. છેલ્લા છ મહિનાથી ચાલી રહેલા આ વિવાદે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આગામી 15મી જૂનના રોજ ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી હજારોની સંખ્યામાં જૈન ભક્તો, હિન્દુ સંગઠનો અને સંતો-મહંતો ભરૂચમાં ધામા નાખવાના છે. આ તમામ લોકો એક વિશાળ યાત્રા સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચીને રજૂઆત કરશે.
પ્રવેશદ્વાર પર પૌરાણિક પ્રતિમાઓ
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ચક્રધર સ્વામીના અનુયાયી સુદર્શન નાગરાજ બાબા અને શંકરાચાર્ય મઠના વ્યવસ્થાપક મુક્તાનંદ સ્વામી સહિતના સંતોએ આ સ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન મસ્જિદના મુખ્ય પ્રવેશદ્વારની ઉપર ભગવાન મહાવીર સ્વામી અને નીચે ચક્રધર સ્વામીની પ્રતિમાઓ હોવાનું દ્રશ્યમાન થયું હતું. આ ઉપરાંત, મસ્જિદના પિલ્લરો અને દીવાલો પર કરવામાં આવેલી કલાત્મક કોતરણી પણ ભારતીય સંસ્કૃતિ અને જૈન મંદિરોની સ્થાપત્ય શૈલીને સમાન હોવાનું સામે આવ્યું હતું.
ગેરકાયદેસર વજુખાનાનું નિર્માણ
આ ઐતિહાસિક સ્મારક પુરાતત્વ વિભાગ અંતર્ગત સુરક્ષિત હોવા છતાં, સ્થાપત્યની જાળવણી કરવામાં પુરાતત્વ વિભાગ સદંતર નિષ્ફળ નીવડ્યો છે. સુરક્ષિત ધરોહર હોવા છતાં ત્યાં ગેરકાયદેસર રીતે વજુખાનાનું નિર્માણ કરાયું હતું, જેને તાજેતરમાં દૂર કરાયું છે. આ સિવાય છેલ્લા 700 વર્ષથી ખુલ્લા એક દરવાજાને ત્રણ લાકડાના પાટિયા મારીને તાળાબંધી કરી દેવામાં આવતા વિવાદ વધુ વકર્યો છે.
અધિકારીઓ સામે ઉઠતા સવાલો
સ્થાનિક વહીવટી તંત્ર અને પુરાતત્વ વિભાગના અધિકારી રાહુલ પરમાર સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. સરકારી નિયમોનું ઉલ્લંઘન કરીને આ સંકુલમાં વીજ મીટર કોના નામે લેવાયું? સાઉન્ડ સિસ્ટમ અને અન્ય વીજ ઉપકરણો લગાવવાની મંજૂરી કોણે આપી? તે તપાસનો વિષય બન્યો છે. સંતોનો આક્ષેપ છે કે પુરાતત્વ વિભાગના સ્થાનિક કર્મચારીઓએ આ ગંભીર બાબતો અંગે ઉચ્ચ અધિકારીઓને સમયસર કેમ વાકેફ ન કર્યા? આગામી 15 જૂને યોજનારી આ મહારેલીમાં અંદાજે 5થી 7 હજાર જેટલા લોકો જોડાશે તેવી શક્યતા સેવાઈ રહી છે.
શ્રીલંકાના રાજાની પુત્રીએ સમરી વિહારનું નિર્માણ કરાવ્યું હતું
શંકરાચાર્ય મઠના મુક્તાનંદ સ્વામીના જણાવ્યા અનુસાર, શ્રીલંકાના રાજાની પુત્રી સુદર્શનાએ પૂર્વભવની સ્મૃતિમાં આ ભવ્ય સમરી વિહારનું નિર્માણ કરાવ્યું હતું. આ પવિત્ર સ્મારક રાષ્ટ્રીય ધરોહર હોવા છતાં, પુરાતત્વ વિભાગની આંખ આડા કાન કરવાની નીતિને કારણે ત્યાં ગેરકાયદેસર કબરસ્તાન ઊભું કરી દેવાયું છે. મઝાર પર તખ્તીઓ મારવાની અને દફનવિધિ કરવાની મંજૂરી કોણે આપી તે મોટો સવાલ છે. આ પરિસરમાં એક ઐતિહાસિક પાતાળ કૂવો અને ઈસ્લામિક પુસ્તકો મળી આવ્યા છે. જો આ પાતાળ કૂવાની તટસ્થ વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવે, તો આ સ્થળ જૈન મંદિર હોવાના અત્યંત ચોંકાવનારા પુરાવાઓ બહાર આવે તેમ છે.








