Gujarat

મહિલા પગના દુખાવાની સારવાર કરાવવા ગઇ અને ડીગ્રી વિનાના યુવકે કમરનો બોલ તોડ્યો

By GS TEAM
19 Mar 20262 mins read
મહિલા પગના દુખાવાની સારવાર કરાવવા ગઇ અને ડીગ્રી વિનાના યુવકે કમરનો બોલ તોડ્યો

અમદાવાદ, શુક્રવાર

અમદાવાદ દિલ્હી ચકલા પાસે આવેલા ભાડભૂંજા હાડવૈદમા પ્રમાણિત તબીબો વિના જ દર્દીઓને સારવાર કરવામાં આવે છે. જેના કારણે દર્દીઓની સ્થિતિ દયનીય બને છે. અમદાવાદના ઇસનપુરમાં રહેતા દક્ષાબેન નામની મહિલાને ભાડભૂંજા હાડવૈદ પાસે સામાન્ય દુખાવાની સારવાર કરાવવાનું ભારે પડ્યું હતું અને મહિલાની કમરનો બોલ તુટી જતા છ મહિના સુધી આરામ કરવાની સાથે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે જવુ પડ્યું હતું. 

આ સમગ્ર ઘટનાની વિગતો એવી છે કે ઇસનપુરમાં રહેતા દક્ષાબેન કામ કરીને ઘરે જતા હતા. ત્યારે રસ્તામાં પડી જતા પગમાં દુખાવો થયો હતો.  અગાઉ હાથની સારવાર તેમણે દિલ્હી ચકલામાં આવેલા ભાડભૂંજા હાડવૈદને ત્યાં કરાવી હોવાથી ત્યાં પગના દુખાવાની સારવાર માટે ગયા હતા. જ્યાં હાજર યુવકે એક્સ રે કાઢીને પાટો બાંધી દીધો હતો અને ચાર પાંચ દિવસમા ફરીથી બતાવવાનું કહ્યું હતું. દક્ષાબેન ફરીથી બતાવવા માટે ગયા ત્યારે ત્યાં સારવાર કરી રહેલા યુવકે પગને ખેચતા દુખાવો અચાનક વધી ગયો હતો. પરંતુ, તેમને સારૂ થઇ જશે. તેમ જણાવીને જવા દીધા હતા. તેમ છતાંય, દુખાવો ઓછો ન થતા પાલડીમાં આવેલી હોસ્પિટલમાં બતાવવા માટે ગયા ત્યારે તબીબોએ જણાવ્યું તે જાણી દક્ષાબેન ચોંકી ઉઠ્યા હતા. કારણ કે ભાડભૂંજા હાડવૈદના દવાખાનામાં રહેલા યુવકે પગ ખેંચતા તેમના કમરનો બોલ તુટી ગયો હતો. 

જેની સારવાર કરવા માટે ઓપરેશન ફરજિયાત હતુ.  જો તે ઓપરેશન ન કરાવે તો ચાલી પણ ન શકે. જેનો મોટો ખર્ચ હતો. છેવટે મણિનગરમાં આવેલી ક્યોર અને કેર હોસ્પિટલમાં તેમનું ઓપરેશન અઢી લાખ રૂપિયામાં કરવામાં આવ્યું હતું અને તેમને સતત છ મહિના સુધી આરામ કરવો પડે તેમ છે. 

આમ,  ભાડભૂંજા હાડવેદમાં ડીગ્રી વિના કામ કરતા યુવકની બેદરકારીથી વધુ એક દર્દીની સ્થિતિ દયનીય બની છે. આ અંગે પોલીસમાં તેમજ આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સાથેસાથે ઇન્ડિયન મેડીકલ એસોશીએશનમાં પણ ફરિયાદ કરવામાં આવશે.

દવાખાનામાં ઓર્થોપેડિક તબીબ દ્વારા સારવાર કરવી ફરજિયાત છે. પરતુ, ભાડભૂંજા હાડવૈદને ત્યાં માત્ર તબીબના નામે પ્રિસ્ક્રિપશન આપવામાં આવે છે. આ બાબતને લઇને મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગને જાણ છે, પરંતુ, આરોગ્ય વિભાગના અધિકારીઓ પોતાના અગંત સ્વાર્થ માટે દર્દીઓના જીવને જોખમમાં મુકવામાં આવે છે.