રાજકોટમાં સોની વેપારીઓ અને કારીગરો વચ્ચે વિશ્વાસનું 'સંકટ' : ઘણાં વેપારીઓ બંગાળી કારીગરો વિશે પૂરતી ખરાઈ નથી કરતા : અમુક લેભાગુ કારીગરો થોડો સમય સસ્તાંમાં કામ કરી આપે છે
રાજકોટ, : વિશ્વપ્રસિધ્ધ રાજકોટની સોની બજારનાં વેપારીઓનું સોનું લઈ બંગાળી કારીગરો ભાગી જતા હોવાનાં કિસ્સા હવે સામાન્ય બની ગયા છે, જેને કારણે વેપારીઓ અને બંગાળી કારીગરો વચ્ચે વિશ્વાસનું 'સંકટ' ઉભુ થયું છે. છેલ્લા એક જ વર્ષમાં વેપારીઓનું અંદાજે 50 કરોડનું સોનું લઈ બંગાળી કારીગરો ભાગી ગયાનું અનુમાન છે. વધુ બે વેપારીનું રૂા 1.7 કરોડનું સોનું બંગાળી કારીગરો ઓળવી ગયાના કિસ્સા બહાર આવ્યા છે.
અગાઉ બંગાળી કારીગરો 25- 50 ગ્રામ સોનુ લઈ ભાગી જતાં હોવાનાં કિસ્સા બનતા હતાં. હવે તેને બદલે વેપારીઓએ આપ્યું હોય તેટલું સોનુ લઈ ભાગી જવાનાં કિસ્સા બનવા લાગ્યા છે. કેટલાક કારીગરો વેપારીઓની અપેક્ષાથી પણ સારૂ કામ કરી આપે છે. જાણે વેપારીઓના પરિવારનાં સભ્યો હોય તે રીતે કામ કર્યા બાદ મોકો જોઈ સોનુ લઈ ભાગી જાય છે. અમુક લેભાગુ કારીગરો થોડા વખત સુધી ઓછા ભાવે કામ પણ કરી આપે છે. સોની આગેવાનોનું કહેવું છે કે મોટાભાગનાં વેપારીઓ બંગાળી કારીગરોનાં પૂરા, નામ, સરનામા, તેનો ગુનાઈત ઈતિહાસ જાણવાની તસ્દી લેતા નથી. સરખી રીતે તેનું વેરીફીકેશન પણ કરાવતાં નથી.


