Junagadh News: જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ટ્રેકિંગ કરવા ગયેલા વિદ્યાર્થીઓ પર મધમાખીઓએ હુમલો કર્યો હતો. જેમાં 35થી વધુ વિદ્યાર્થીઓ પર મધમાખીએ ડંખ મારતાં તેમને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે, વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર મળતાં હાલ તમામ વિદ્યાર્થી સુરક્ષિત અને સ્થિર હાલતમાં છે.
મધમાખીઓએ હુમલો કરતા વિદ્યાર્થીઓમાં નાસભાગ મચી
મળતી માહિતી અનુસાર, ગિરનાર પર્વતમાં ટ્રેકિંગ કરતાં વિદ્યાર્થીઓ ઉપર મધમાખીઓએ હુમલો કર્યો હતો. પાજ નાકાં પુલ નજીક જોગણીયા ડુંગર પર બાળકો પર મધમાખીઓએ હુમલો કરતા નાસભાગ મચી જવા પામી હતી. ટ્રેકિંગ દરમિયાન અચાનક મધમાખીનું ઝુંડ આવી ચડતા 35 વધુ બાળકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર, એમ્બ્યુલન્સ સહિતનો કાફલો ભવનાથ તળેટીમાં પહોંચ્યો હતો. ઇજાગ્રસ્ત બાળકોને સારવાર અર્થે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ખેડબ્રહ્મા-અંબાજી હાઇવે પર બસ-બાઇક અને જીપ વચ્ચે અકસ્માત, 3ના મોત,6 ઇજાગ્રસ્ત
સિવિલ હોસ્પિટલના ડોક્ટરોનું કહેવું છે કે, મધમાખીના હુમલાની ઘટનામાં 35થી વધુ બાળકોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તમામ બાળકોને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે. કોઈ પણ બાળકની સ્થિતિ ગંભીર નથી. મધમાખી કરડતા કિસ્સાઓમાં દર્દીને મધમાખીને ડંખથી શરીરમાં થતી બળતરા ને રાહત મળે તે માટે ઇન્જેક્શન તેમ જ દવાઓ આપવામાં આવી છે.


