s
સુરત
ભોગ બનનાર બાળાને 1.50 લાખ વળતર ચૂકવવા નિર્દેશઃ રીશેષમાં વર્ગખંડમાં ઝાડુ મારવા બોલાવી શારીરિક અડપલાં કર્યા હતા
પાંચેક વર્ષ પહેલાં માંગરોળ પોલીસ મથકની હદમાં આવેલી શાળામાં ભણતી ૯ વર્ષની વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કરનાર આરોપી શિક્ષકને આજે ફાસ્ટ ટ્રેક સ્પેશ્યલ કોર્ટ (પોક્સો) તથા એડીશ્નલ સેશન્સ જજ એન.એ.અંજારીયાએ દોષી ઠેરવી પોક્સો એક્ટના ભંગ બદલ સાત વર્ષની સખ્તકેદ, રૃ.2 હજાર દંડ તથા દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદ તથા ભોગ બનનારને વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ રૃ.1.50 લાખ વળતર ચુકવવા હુકમ કર્યો છે.
માંગરોળ તાલુકાના વાંકલ ગામે સાંઈ દર્શન સોસાયટીમાં રહેતા તથા શિક્ષક તરીકે ફરજ બજાવતા 38 વર્ષીય સુરેશ છગન ચૌધરી વિરુધ્ધ તા.28-11-19ના રોજ ભોગ બનનાર ૯ વર્ષીય વિદ્યાર્થિનીના ફરિયાદી પિતાએ માંગરોળ પોલીસ મથકમાં પોક્સો એક્ટના ભંગ બદલ ફોજદારી ફરિયાદ નોંધાવી હતી. શિક્ષક બાળકીને બપોરની રિસેશના સમયે વર્ગખંડમાં ઝાડુ મારવા માટે બોલાવીને તેનો હાથ પકડીને અડપલાં કરી છેડતી કરી હતી. પરંતુ રિશેષ પુરી થતાં બીજા છોકરાઓ આવી જતાં આરોપી શિક્ષક વર્ગખંડ છોડીને બહાર જતા રહ્યા હતા. માંગરોળ પોલીસે શિક્ષકની ધરપકડ કરી હતી.
કેસ કાર્યવાહી દરમિયાન આરોપીના બચાવપક્ષે મુખ્યત્વે બનાવ સમયે 116 વિદ્યાર્થીઓ તથા શિક્ષકો હોવા છતાં તેમને સાક્ષી તરીકે તપાસ્યા ન હોવાનો તેમજ ભોગ બનનાર, તેના માતા-પિતા સિવાય અન્ય કોઈ સ્વતંત્ર કે તટસ્થ સાક્ષીને તપાસવામાં આવ્યા ન હોવાનો બચાવ લીધો હતો. તેમજ કિન્નાખોરી તથા અદાવત રાખીને ખોટી ફરિયાદ કરાયાની રજૂઆત થઇ હતી. જેના વિરોધમાં એપીપી દિપેશ દવેએ જણાવ્યું હતું કે ભોગ બનનાર બાળકીનું સીઆરપીસી-164 મુજબનું નિવેદન, એક માત્ર નજરે જોનાર સાક્ષી અને ભોગ બનનારની જુબાની આધારપાત્ર છે. વધુમાં ફરિયાદી માતા-પિતાએ પણ સમર્થનકારક જુબાની આપી છે. આરોપીના બચાવપક્ષે ડીફેન્સનો પુરાવો આપવાનો હક બંધ થયા પછી ખોલવાનો પ્રયત્ન થયો નથી.
શિક્ષકની જવાબદારી સારુ શિક્ષણ અને સંસ્કાર આપવાની છેઃકોર્ટ
શિક્ષક જ આવું કૃત્ય કરે તો સામાજિક અસુરક્ષાના માહોલમાં વાલીઓ પોતાની બાળકીઓને સ્કુલે મોકલતા ડરશે
પોક્સો
કેસોની ખાસ અદાલતે ચુકાદામાં જણાવ્યું છે
કે આરોપી શિક્ષક હોઈ તેમની જવાબદારી બાળકોને સારું શિક્ષણ અને સંસ્કાર
આપવાની છે. પરંતુ જો ખુદ શિક્ષક તરીકે આ પ્રકારનું કૃત્ય કરે તો સામાજિક
અસુરક્ષાના માહોલમાં વાલીઓ પોતાના કુમળી વયની બાળકીઓને સ્કુલે મુકતા ડરે તેવુ બને
તેમ છે.વળી શિક્ષક તરીકે આધિપત્યવાળી પરિસ્થિતિને લીધે ભોગ બનનાર બાળકી કોઈપણ
જાતનો બચાવ કરવા સક્ષમ હોતી નથી. ભોગ બનનાર બાળકીને જિંદગી દોઝખ જેવી બનાવીને આ
પ્રકારના ગુનામાં આરોપીને સજા કરતી વખતે કોઈ કુણું વલણ દાખવવામાં આવે તો ખોટો
દાખલો બેસાડવા જેવું છે. કોર્ટે ભોગ બનનાર તથા તેના કુટુંબીઓએ ફરિયાદ કરવાની
હિંમતની કોર્ટે તારીફ કરી છે.


