શહેરના કોટંબી સ્થિત બીસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં તા.૧૧ જાન્યુઆરીએ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આંતરરાષ્ટ્રીય મેન્સ વન ડે ક્રિકેટ મેચ ૨માવવા જઈ રહી છે. તેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે બીસીસીઆઈ અને ન્યુઝીલેન્ડ ક્રિકેટના ઉચ્ચ અધિકારીઓ સ્ટેડિયમ પહોંચ્યા હતા અને વિવિધ બાબતોને ધ્યાને રાખીને તૈયારીઓ ચકાસવામાં આવી હતી.
બીસીસીઆઈના ધીરજ મલ્હોત્રા અને મીત વાડોલીકર તથા ન્યુઝીલેન્ડ ક્રિકેટના આંતરરાષ્ટ્રીય ઓપરેશન્સ અને સિક્યુરિટી નિષ્ણાત રેગ ડિક્સન અને બ્રેડલી રોડન ઉપસ્થિત રહ્યા હતા. બીસીએ ટીમનું નેતૃત્વ સીઇઓ સ્નેહલ પરીખ તથા ક્રિકેટિંગ ઇન્ચાર્જ અને ચીફ ક્યુરેટર અતુલ બેદાડે સહિતના પદાધિકારીઓએ કર્યું હતું. આ દરમિયાન સ્ટેડિયમ પ્રેઝન્ટેશન, ખેલાડીઓ માટેની વ્યવસ્થા, ઓપરેશનલ ઝોનની સમીક્ષા થઈ હતી.
ન્યૂઝીલેન્ડના રેગ ડિક્સને સ્ટેડિયમના આધુનિક ડ્રેસિંગ રૂમને ફ્યુચરિસ્ટિક ગણાવ્યો હતો. બ્રેડલી રોડને બીસીએની પ્રોએક્ટિવ ટીમની પ્રશંસા કરી હતી. બીસીએ સીઈઓ સ્નેહલ પરીખે જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય મહિલા ઓડીઆઈ, ડબ્લ્યુપીએલ અને માસ્ટર્સ લીગના સફળ આયોજનને કારણે બીસીએની ક્ષમતા વધુ મજબૂત બની છે. ક્યુરેટર અતુલ બેદાડેએ જણાવ્યું હતું કે, મુખ્ય ગ્રાઉન્ડમાં ૧૧ પિચ, ગ્રાઉન્ડ-૨માં ૯ અને ગ્રાઉન્ડ-૩માં ૧૯ પ્રેક્ટિસ વિકેટ્સ ઉપલબ્ધ છે. ઉપરાંત, ૨૦ આઉટડોર ફ્લડલાઈટ અને પ ઈન્ડોર વિકેટ્સ આંતરરાષ્ટ્રીય ટીમો માટે તૈયારીના શ્રેષ્ઠ આયોજનરૂપ છે.


