વડોદરા: હોળી-ધૂળેટીમાં નદી-ચેકડેમમાં નહાવા પર સંપૂર્ણ પ્રતિબંધ, કાદવ-ગંદું પાણી ફેંકનાર પર થશે કાર્યવાહી, કલેક્ટરનું જાહેરનામું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News: હોળી-ધૂળેટી તહેવારમાં નદી-ચેકડેમમાં નહાવા જતાં ડૂબવાની ઘટના બનતી હોય છે. જેને લઈને વડોદરા જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં આગામી 3-4 માર્ચ, 2026ના રોજ જિલ્લાની નદી, ઘાટ અને ચેકડેમમાં નહાવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત, જાહેર જનતા પર કાદવ કે ગંદું પાણી ફેંકનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
હોળી-ધૂળેટીમાં નદી-ચેકડેમમાં નહાવા પર સંપૂર્ણ પ્રતિબંધ
વડોદર જિલ્લામાં દર વર્ષે ધૂળેટીનો તહેવાર નજીક આવતાં નર્મદા, મહી, ઓરસંગ સહિતની નદીઓમાં ડૂબી જવાની ઘટનાઓ બને છે. જેની ગંભીરતા રાખીને જિલ્લા તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડીને બે દિવસ દરમિયાન નદી, નાળા કે ડેમમાં નહાવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
જાહેરનામા અનુસાર, વડોદરાના સાવલી, ભાદરવા, પાદરા, કરજણ, તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા ગામડાના લોકોને મહીસાગર અને નર્મદા નદી, ચાણોદના મલ્હાર ઘાટ, કપિલેશ્વર ઘાટ, ત્રીવેણી સંગમ, સોમનાથ ઘાટ સહિતના ઘાટ ખાતે હોળી-ધૂળેટીના તહેવારમાં નહાવા કે અન્ય કામ અર્થે જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આમ, જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


લોકો પર કાદવ કે ગંદું પાણી ફેંકશો તો થશે કાયદેસરની કાર્યવાહી
હોળી-ધૂળેટીના તહેવાર દરમિયાન જાહેર રસ્તા પર જતા-આવતા રાહદારીઓ કે વાહનચાલકો પર કાદવ કે રંગમિશ્રીત પાણી અને તૈલી વસ્તુઓ ફેંકવાની શક્યતાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં જણાવ્યું છે કે, જાહેર જનતાને અડચણ, ત્રાસ કે ઈજા પહોંચાડવાના બનાવ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.











