ગુજરાતના બારડોલીમાં કલરકામની ફેક્ટરીમાં ભીષણ આગ, બે કામદારોના મોત, 15-20 ઇજાગ્રસ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bardoli News: સુરત જિલ્લાના બારડોલી નજીક આવેલી એક કલરકામની ફેક્ટરીમાં આજે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં બે કામદારોના મોત થયા હોવાનું અને અંદાજે 15 થી 20 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સવારે ફેક્ટરીમાં કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ એટલી વિકરાળ હતી કે થોડી જ વારમાં તેણે આખી ફેક્ટરીને પોતાની લપેટમાં લઈ લીધી હતી. ફેક્ટરીમાં રહેલા જ્વલનશીલ પદાર્થોને કારણે આગ વધુ પ્રસરી હતી.
આગની જાણ થતા જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને હાલ કુલિંગની કામગીરી ચાલી રહી છે.
સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર પણ ઘટના સ્થળે પહોંચી ગયું છે. શોધ અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. કેટલાક ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આગને કારણે ફેક્ટરીને ભારે નુકસાન થયું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.









