સુરતના પાલનપોરમાં બ્લેક આઉટ સમયે પાર્ટી પ્લોટમાં ફ્લડ લાઈટના ઝઘમઘાટ વચ્ચે ભોજન સમારંભ યોજાયો
Surat Blackout : પાકિસ્તાન પર ભારતે કરેલી એર સ્ટ્રાઈક બાદ ભારત પર હુમલો થાય ત્યારે પરિસ્થિતિ થાય તેને પહોંચી વળવા આજે મોકડ્રીલ અને અડધા કલાકનું બ્લેક આઉટ જાહેર કરાયું હતું. પરંતુ પાલનપોર મેટ્રોનો ડેપો, હોર્ડિગ્સ પરની લાઈટ, બિલ્ડીંગ પરના સાઈન બોર્ડની લાઈટ ચાલુ હતી. જ્યારે ઉધના દરવાજા ફ્લાય ઓવર બ્રિજ પાસે સ્ટ્રીટ લાઈટ પણ થોડો સમય ચાલુ જોવા મળી હતી. જોકે, આ બ્લેક આઉટ વચ્ચે પાલનપોર ખાતે આવેલા એક પાર્ટી પ્લોટમાં ફ્લડ લાઈટના ઝધમઘાટ વચ્ચે ભોજન સમારંભ પણ ચાલતો રહ્યો હતો.
કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ આતંકવાદીઓના અડ્ડાનો સફાયો કર્યો છે ત્યારે યુદ્ધ જેવી સ્થિતિ છે અને કદાચ ભારત પર હુમલો થાય ત્યારે તે સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા આજે મોકડ્રીલ જાહેર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સાંજે 7.30 વાગ્યાથી 8.00 વાગ્યા વચ્ચે બ્લેક આઉટ જાહેર કરવામાં આવ્યો હતો.
આટલી ગંભીર સ્થિતિ છતાં સુરતમાં મેટ્રોની કામગીરી ચાલે છે તેના પાલનપોર ગૌરવ પથ ખાતે આવેલા ડેપોમા લાઈટો ચાલુ જ રહી હતી. આવી જ રીતે શહેરમાં મોટાભાગના જાહેરાતના હોર્ડીંગ્સ પર લાગેલી લાઈટો પણ ચાલુ જ જોવા મળી હતી. ઉધના દરવાજા ફ્લાય ઓવર બ્રિજ ખાતે ત્રણ લાઈટ પોલ પર લાઈટો ચાલુ હતી તે બ્લેક આઉટ 10 મિનિટ બાદ બંધ કરવામાં આવી હતી. જ્યારે અડાજણ એલપી સવાણી રોડ પર સ્વાતિ સોસાયટીમાં પણ લાઈટો ચાલુ જ હતી તેની પણ ફરિયાદ કરવામાં આવી હતી.
આ બ્લેક આઉટ સમય દરમિયાન પાલનપોર ખાતે આવેલા મથુરા નગરી પાસે સંસ્કૃતિ ફાર્મ પાર્ટી પ્લોટ આવ્યો છે તેમાં ફ્લડ લાઈટ અને અન્ય લાઈટના ઝઘમઘાટ વચ્ચે ભોજન સમારંભ ચાલુ રહ્યો હતો. શહેરના મોટા ભાગના લોકોએ પોતાના કામધંધાના સ્થળે પણ લાઈટો બંધ રાખીને રાષ્ટ્રની અપીલને માન રાખ્યું હતું. પરંતુ આ લાઈટોના ઝઘમઘાટ વચ્ચે ભોજન સમારંભ અને જાહેરાતના હોર્ડીંગ્સ પર લાઈટ બંધ ન થવી, સ્ટ્રીટ લાઈટ ચાલુ રહી જવી અને મેટ્રોના ડેપોમાં પણ બ્લેક આઉટ સમયે લાઈટ બંધ ન થઈ તે ચર્ચાનો વિષય છે. જો યુદ્ધના સમયે આવી બેદરકારી દાખવવામાં આવે તો કોઈની બેદરકારીના કારણે મોટી જાનહાની થાય તે શક્યતા નકારી શકાતી નથી