સુરતમાં કતારગામની વધુ એક સોસાયટીમાં પ્રાથમિક સુવિધા નથી તો વોટ નહીંના લાગ્યા બેનર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Corporation : સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને શહેરમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જામતા પ્રચારનો શોર ગુંજી રહ્યો છે. પરંતુ આ રાજકીય હોબાળા વચ્ચે મતદારોનો મિજાજ શાંત છતાં તીખો બન્યો છે. કતારગામ વિસ્તારમાં વધુ એક સોસાયટીમાં વોટ નહીંના બેનરો લાગ્યા છે. છેલ્લા 35 વર્ષથી વેરો ભરતી સોસાયટીમાં પ્રાથમિક સુવિધા ન હોવાથી કોઈ પણ રાજકીય પક્ષોએ પ્રવેશ કરવો નહીં તેવું બેનરમાં લખ્યું હોવાથી રાજકીય પક્ષોની ચિંતામાં વધારો થયો છે.
સુરત પાલિકાના ચૂંટણી માટે કતારગામ વિસ્તાર ભાજપ-આપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે અને કોંગ્રેસે પણ આ ચૂંટણીમાં ઝંપલાવ્યું હોવાથી ત્રિપાંખીયો જંગ થશે. આ વિસ્તારમાં મતદારો હજુ પણ રાજકીય પક્ષોને પોતાના મન કળવા દેતા નથી મતદારોની શાંતિ રાજકીય પક્ષો માટે અકળાવનારી બની રહી છે. કોઈ વિસ્તારમાં કોઈ પણ પક્ષનો આક્રમક વિરોધ હજી જોવા મળ્યો નથી પરંતુ કેટલીક સોસાયટી બહાર લાગેલા બેનરથી રાજકીય પક્ષોની ચિંતામાં વધારો થયો છે. તેમાં પણ કતારગામ વિસ્તારની દાન ગીગેવ સોસાયટીના ગેટ પર જ વોટ નહીં, વોટ નહી ના બેનર લાગ્યા છે. જેમાં લખ્યું છે કે, છેલ્લા 35 વર્ષથી સોસાયટીના લોકો વેરો ભરી રહ્યાં છે તેમ છતાં પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. છેલ્લા 35 વર્ષમાં ખોબે ખોબે મત આપ્યા છે અને સુવિધા માટે અનેક રજુઆત છતાં પણ કોઈ પ્રાથમિક સુવિધા મળી નથી. જેના કારણે હવે કોઈ પણ પાર્ટીએ મતની ભીખ માંગવા માટે સોસાયટીમાં પ્રવેશ કરવો નહી તેવું લખાયું છે. જેના કારણે સત્તા પક્ષ સહિત રાજકીય પક્ષોની ચિંતામાં વધારો થયો છે.








