Gujarat

આજે બેન્ક હડતાલ : ભાવનગરમાં 250 કરોડનું ક્લીયરીંગ ખોરવાશે

By GS TEAM
9 Jul 20251 min read
આજે બેન્ક હડતાલ : ભાવનગરમાં 250 કરોડનું ક્લીયરીંગ ખોરવાશે

- બેન્ક કર્મચારીઓની જુદીજુદી માંગણીઓ સબબ 

- એસબીઆઈ સિવાયની રાષ્ટ્રીયકૃત બેન્કોના કર્મચારીઓ જોડાશે : આજે સવારે મોતીબાગથી રૂપમ ચોક સુધી સંયુક્ત ટ્રેડ યુનિયન રેલી

ભાવનગર : બેન્ક કર્મચારીઓની જુદીજુદી માંગણીઓ સબબ આવતીકાલ તા. ૯ જૂલાઈને બુધવારે બેન્ક હડતાલનું એલાન આપવામાં આવ્યું છે. 

ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયનના જોઈન્ટ સેક્રેટરી જયેશ ઓઝાએ જણાવ્યું હતું કે, કર્મચારીઓને એનપીએસથી ઓપીએસમાં જવાનો વિકલ્પ આપવા, રાષ્ટ્રીયકૃત બેંકોને મજબુત કરવા, પર્યાપ્ત પ્રમાણમાં ભરતી કરવા, બેંકોનું ખાનગીકરણ અટકાવવા સહિતની માંગણીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, લેબર કોડ સામે પણ વિરોધ છે. આ બધી બાબતોને લઈને હડતાલનું એલાન અપાયું છે. તેમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) સિવાયની રાષ્ટ્રીયકૃત બેન્કોના કર્મચારીઓ જોડાશે. છેલ્લા ૧૦ મહિના બાકી હોય તે કર્મચારીને હડતાલમાં જોડાવવાથી પેન્શનનું કોઈ નુકસાન થતું નથી, તે કર્મચારીઓ પણ હડતાલમાં જોડાશે. 

તેમણે ઉમેર્યું હતું કે, તમામ શાખા પ્રતિનિધિઓએ હડતાલ અંગેનો રીપોર્ટ યુનિયન ઓફીસે કરવાનો રહેશે. ભાવનગરમાં આવતીકાલ તા. ૯ના રોજ સવારે ૧૦ વાગ્યે મોતીબાગ ટાઉનહોલ ખાતેથી સંયુક્ત ટ્રેડ યુનિયનની રેલી નીકળશે. જે રૂપમ ચોક સુધી જશે. આ હડતાલથી ભાવનગરમાં ૨૫૦ કરોડનું ક્લીયરીંગ ખોરવાશે.