Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે ઠાકોર સમાજ નવા બંધારણ અને સ્નેહ મિલન કાર્યક્રમ માટે ભેગો થયો હતો. જેમાં કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે અંધશ્રદ્ધા, કુરિવાજો અને જૂની પ્રથાઓને બંધ કરવા ટકોર કરી હતી. ગેનીબેને દીકરીઓને દશામાંના વ્રત બંધ કરવાનું ચોંકાવનારું નિવેદન આપ્યું હતું.
દશામાના વ્રતો ઘરની દશા બેસાડવાની પ્રથા: ગેનીબેન
ઠાકોર સમાજને સંબોધન કરતાં કોંગ્રેસના મહિલા સાંસદે કહ્યું હતું કે, 'આ દશામાના વ્રતો ઘરની દશા બેસાડવાની પ્રથા છે. આથી કોઈ પણ બહેન-દીકરીએ દશામાના વ્રત કરવા નહીં. જેને દશામાં નડતા હોય, તે બધાય માતાજીને મારી જોડે મોકલી દેજો. જો દશામાં ને નડવું હોય, તો પણ મને નડશે, આમેય હું એકલી ગાડીમાં ફરું છુ, તો દશામાં પણ મારા ભેગા ગાડીમાં ફરશે'. ગેનીબેનના આ નિવેદન બાદ દશામામાં શ્રદ્ધા રાખતા લોકોને દુખ પહોંચ્યું છે. તો કેટલાક લોકો આ નિવેદનને સમર્થન પણ આપી રહ્યા છે.
'દુઃખ હોય તો ડોક્ટર પાસે જાઓ અંધશ્રદ્ધાથી દૂર રહો'
વધુમાં ગેનીબેને ઠાકોરે સમાજને અંધશ્રદ્ધાથી દૂર રહેવાની અપીલ કરતાં કહ્યું કે 'મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં. ભુવાઓ તમને ભ્રમમાં રાખીને આર્થિક અને સામાજિક રીતે બરબાદ કરશે. તમે જેવું કર્મ કરશો તેવું ભોગવવું પડશે. ભુવાઓ ખોટા મગજમાં વહેમ ઘાલી દે છે. કોઈને દુઃખ હોય તો ડોક્ટર પાસે જાઓ અંધશ્રદ્ધાથી દૂર રહો'
આ પણ વાંચો: ગુજરાત ATSએ MD ડ્રગ્સની મોટી ફેક્ટ્રીનો કર્યો પર્દાફાશ, 2 કરોડના ડ્રગ્સ સાથે 6ની ધરપકડ
'દીકરી બીજો કોઈ સમાજ લઈ જાય તો ઠાકોર સમાજ આક્રમક નથી'
આ બાદ ઠાકોર સમાજના સ્નેહમિલનમાં સમાજની દીકરીઓ બીજા સમાજમાં જાય તેને લઈને પણ મુદ્દો ઉછળ્યો હતો. જે અંગે ગેનીબેને જણાવ્યું હતું કે ઠાકોર સમાજમાંથી ગમે તેટલી દીકરીઓ બીજો સમાજ લઈ જાય છતાં ઠાકોર સમાજ આક્રમક નથી. આથી આપણે કોઈ બીજા સમાજની દીકરી લાવવી નહીં અને જો કોઈ આપણા સમાજની દીકરી લઈ જાય, તો આકાશ-પાતાળ એક કરીને લાવવી જોઈએ.


