- આરોગ્ય વિભાગે ક્લોરિનેશન સહિતની કામગીરી શરૂ કરી
- સ્થિતિ કાબૂમાં હોવાનો જિલ્લા આરોગ્ય વિભાગનો દાવો, અસરગ્રસ્તોને બાલાસિનોરમાંથી ચેપ લાગ્યો
બાલાસિનોર : મહીસાગર જિલ્લાના તાલુકા મથક બાલાસિનોર શહેરમાં ડિસેમ્બર મહિનામાં કમળાના રોગચાળાએ કહેર મચાવ્યો છે. ત્યારે અહીંનો ચેપ નજીકમાં આવેલા રાજપૂર ગામ સુધી પહોંચ્યો છે. રાજપૂર ગામમાં પણ ડિસેમ્બર મહિનામાં કમળાના સાત કેસ નોંધાયા હોવાનું આરોગ્ય તંત્રએ સ્વીકાર્યું છે.
બાલાસિનોરમાં શહેરમાં ડિસેમ્બર મહિના દરમિયાન કમળાના સવા ત્રણસોથી વધારે કેસ નોંધાઇ ચૂક્યા છે. જેના પગલે જિલ્લા કલેક્ટરે દોડી આવવાની ફરજ પડી હતી. દરમિયાનમાં સામે આવતી વિગતો અનુસાર બાલાસિનોરથી પાંચ-છ કિલોમીટરના અંતરે આવેલા રાજપૂર ગામમાં પણ ડિસેમ્બર મહિના દરમિયાન કમળાના ૭ કેસ નોંધાયા છે. અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ આ બાબતે જણાવ્યું છે કે, અત્યારે સ્થિતિ કાબૂમાં છે. ક્લોરિનેશન સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. રાજપૂર ગામમાં જે કેસ નોંધાયેલા છે, તે પૈકી કેટલાક લોકો બાલાસિનોરમાં નોકરી-ધંધા માટે આવે છે. જ્યારે કેટલાક લોકો કોઇ કામ સબબ સગા-સંબંધીને ત્યાં આવ્યા હતા. બાલાસિનોરમાં પાણી પીવાના કારણે આ લોકોને કમળો થયો હોવાનું પ્રાથમિક અનુમાન છે. રાજપૂર સિવાય અન્ય કોઇ ગામમાંથી આવા કેસ સામે આવ્યા નથી.


