બનાસકાંઠાના અમીરગઢમાં હાઈવે રક્તરંજીત, 5થી વધુ વાહનો ભટકાયા, એકનું મોત, અનેક ઘાયલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Balaram Bridge Accident: બનાસકાંઠાના અમીરગઢ વિસ્તારમાંથી એક મોટા અને કાળજું કંપાવનારા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અમીરગઢ નજીક આવેલા બાલારામ બ્રિજ પર એકસાથે 5થી વધુ વાહનો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.
ઈકો કાર અને ટ્રકો વચ્ચે વિચિત્ર અકસ્માત
મળતી માહિતી અનુસાર, બાલારામ બ્રિજ પરથી પસાર થઈ રહેલા વાહનો કોઈ અગમ્ય કારણોસર એકબીજા સાથે ધડાકાભેર ભટકાયા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે એક ઈકો કાર, એકથી વધુ ટ્રક સહિતના અન્ય પાંચથી વધુ વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતને પગલે ચીસાચીસ થઈ ગઈ હતી અને સ્થાનિકો તેમજ પસાર થતા અન્ય વાહનચાલકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
હાઈવે પર કિલોમીટરો લાંબો ટ્રાફિક જામ
બ્રિજની બિલકુલ ઉપર જ આ અકસ્માત સર્જાયો હોવાના કારણે નેશનલ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. અકસ્માત બાદ હાઈવે પર અનેક કિલોમીટર લાંબો ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે સેંકડો વાહનચાલકો કલાકો સુધી બ્રિજ પર અને રસ્તા પર અટવાઈ પડ્યા હતા.
પોલીસ અને NHAI ની ટીમ ઘટનાસ્થળે
ઘટનાની જાણ થતાં જ અમીરગઢ પોલીસ કાફલો અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ની ટીમ ક્રેઈન અને અન્ય આપત્તિજનક સાધનો સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે ઈજાગ્રસ્તોને મદદ પહોંચાડ્યા બાદ હાઈવે પરથી અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવીને ટ્રાફિક હળવો કરવાની અને વાહનવ્યવહાર પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરી છે.








