સુરત,
ન્યાયિક કાર્યવાહીની મુદતે હાજર સવાણી હોસ્પિટલના ડૉકટર સાક્ષી જુબાની માટે હાજર ન થતાં કોર્ટ ખફા
સુરતના બહુચર્ચિત એવા તક્ષશિલા આર્કેડ આગ હોનારત કેસમાં સંડોવાયેલા 14 આરોપીઓ વિરુધ્ધની કેસ કાર્યવાહીની મુદતમાં આજે તબીબ સાક્ષીને જુબાની માટે હાજર રહેવાની તાકીદ છતાં કોર્ટ સમક્ષ ગેરહાજર રહેતાં કોર્ટે સંબંધિત તબીબ વિરુધ્ધ જામીન માત્ર વોરંટ ઈસ્યુ કરીને વધુ સુનાવણી આગામી 8 ડીસેમ્બર સુધી મુલત્વી રાખી છે.
આજથી બે વર્ષ પહેલાં સરથાણા વિસ્તારમાં આવેલી તક્ષશિલા આર્કેડ બિલ્ડીંગમાં લાગેલી ભીષણ આગને પગલે 22 જેટલા માસુમ વિદ્યાર્થીઓનો નિધન તથા અનેક લોકોને ઈજા થવા પામી હતી.સુરત ક્રાઈમ બ્રાંચે આ કેસમાં ગેરકાયદે બાંધકામને મંજુરી આપીને સલામતીના મુદ્દે બેદરકારી દાખવનાર બિલ્ડર્સ,ટયુશન ક્લાસીસ સંચાલક,સુરત મહાનગર પાલિકા,ફાયર વિભાગ,દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારી સહિત કુલ 14 આરોપી ઓ વિરુધ્ધ સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધી જેલભેગા કર્યા હતા.
તક્ષશિલા આર્કેડ આગ કાંડમાં સંડોવાયેલા આરોપીઓ અને ફરિયાદપક્ષ વચ્ચે સ્થાનિકથી માંડીને સર્વોચ્ચ અદાલત સુધી કાનુની જંગ છેડાવાના પગલે ચાર્જફ્રેમની કાર્યવાહી બાદ કેસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.અત્યાર સુધીમાં આ કેસની કાર્યવાહી દરમિયાન આગ કાંડનો ભોગ બનનાર મૃત્તક વિદ્યાર્થીઓના પોસ્ટમોર્ટમ કરનાર તથા સારવાર આપનાર કુલ 16 જેટલા તબીબી સાક્ષીઓ છે.જે પૈકી 12 તબીબ સાક્ષીઓની જુબાની પુરી થવા આવી છે.આજે સરકારપક્ષે ખાસ સરકારી વકીલ પી.એન.પરમાર તથા મૂળ ફરિયાદી વાલીઓ તરફે પિયુષ માંગુકીયાઅ આ ઘટનામાં ભોગ બનનાર ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓની સારવાર કરનાર પી.પી.સવાણી હોસ્પિટલના તબીબી સાક્ષીને જુબાની લેવાની હતી.જેમને સમન્સ છતાં એક યા બીજા કારણોસર તબીબ સાક્ષી કોર્ટ કાર્યવાહીની મુદતમાં ગેરહાજર રહ્યા હતા.જેથી કોર્ટે તબીબ સાક્ષીની વિરુધ્ધ જામીન પાત્ર વોરંટ ઈસ્યુ કરવા નિર્દેશ આપીને વધુ સુનાવણી તા.8મી ડીસેમ્બર સુધી મુલત્વી રાખી છે.


