કરોડોના કૌભાંડમાં સંડોવાયેલા ત્રણ આરોપીની જામીન અરજી નામંજૂર
તપાસમાં ૪૧૬ બેંક એકાઉન્ટ ખોલાવ્યા હોવાનું ખુલ્યું હતું

વડોદરા : બનાવટી ડોક્યુમેન્ટના આધારે બેંક એકાઉન્ટ ખોલી કરોડોની છેતરપિંડી કરવાના બનાવમાં સંડોવાયેલા ત્રણ આરોપીએ જામીન અરજી મુકતા ન્યાયાધીશે ત્રણે આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી..
બનાવની વિગત એવી છે કે, વડોદરા તાલુકા પોલીસે અર્શદ ઉર્ફે અમન મહેસરઅલી
પઠાણને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડી તેની ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેની પાસેથીઅલગ - અલગ
બેંકના ડેબિટ કાર્ડ, સીમ કાર્ડ તથા મોબાઇલ ફોન મળી આવ્યા હતા.પૂછપરછ
દરમિયાન આ શખ્સે  તેની સાથે મદદગારીમાં
સોહિલખાન ફિરોજખાન  પઠાણ તથા મોહંમદઉમર
મોહંમદસાજીદ ચોખાવાલા સામેલ હોવાનું જણાવ્યું હતું. 
પોલીસે ત્રણે આરોપીની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, ગરીબ
લોકોને રૃપિયાની લાલચ આપી બનાવટી સિક્કા તથા દસ્તાવેજો બનાવી તેનો ઉપયોગ કરી બેંક
એકાઉન્ટ ખોલાવડાવતા હતા. તેે બેંક એકાઉન્ટની ચેકબૂક, પાસબૂક,
એ.ટી.એમ. કાર્ડ સાથેની કિટ એન્થની નામના વ્યક્તિને મોકલી આપતા હતા.
આરોપીઓ ગુનો કરવા માટેનું કાવતરું રચી એકાઉન્ટ ધારકો સાથે છેતરપિંડી કરતા  હતા. 
આરોપીઓ પાસેથી ૪૧૬ એ.ટી.એમ. કાર્ડ મળી આવતા તેઓએ ખોટી રીતે ૪૧૬
એકાઉન્ટ ખોલાવ્યા હોવાનું બહાર આવ્યું છે. તપાસમાં બેંક એકાઉન્ટમાં કરોડો રુપિયાના
ટ્રાન્ઝેકશન થયા હોવાનું અને કર્ણાટકા બેંકના મેનેજર પૂર્ણપ્રજ્ઞાા કુલકર્ણીની
સંડોવણી હોવાનું પણ ખુલવા પામ્યું હતું. પોલીસે ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા આરોપી
અર્શદ ઉર્ફે અમન, સોહેલખાન અને મોહંમદ ઉમરે જામીન અરજી મુકતા
ન્યાયાધીશે ત્રણ આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.


